દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જેમ જ તેમની હત્યા કરાવી દેવામાં આવશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી તેમના જીવ પાછળ પડી છે અને તેમનું મર્ડર કરવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલે એક ન્યૂઝ સંસ્થા સાથે વાતચીત દરમિયાન આવું નિવેદન આપતા રાજકારણમાં ગરમવો પ્રસરી જવા પામ્યો હતો. આમ આદમી પાર્ટીએ આ સમગ્ર વાતચીતનો વીડિયો પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.
આ વીડિયોમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કહેતા જણાય છે કે, CM હોવા છતાં પણ મારા પર અત્યાર સુધીમાં 5 વખત હુમલાઓ થયાં છે. છેલ્લા 70 વર્ષ દરમિયાન આ પ્રકારે કોઇ મુખ્યમંત્રી પર પાંચ વખત હુમલા થયાં હોય તેવી પ્રથમ ઘટના છે.
અરવિંદ કેજરીવાલે સવાલ ઉઠાવ્યો હતો કે, આખરે આ હુમલાઓ શા માટે થઇ રહ્યા..? આ પ્રશ્નનો જવાબ તેમણે પોતે જ આપ્યો હતો કે, આ હુમલાઓ કેમ થઇ રહ્યા છે..? મારી ભૂલ શું છે. ? મને કોઇ કેમ મારશે..?
કેજરીવાલે ભાજપનું નામ લેતા કહ્યું કે, રાજનીતિક દળ તેમના પર હુમલાઓ કરાવી રહ્યું છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે, હું તો લોકોના બાળકોને ભણાવું છું, સ્કૂલે મોકલું છું. સારવાર કરાવું છું. હું ધર્મ અને પૂણ્યનું કામ કરું છું. નિશ્ચિતરૂપે પાર્ટીઓ આ કારણોસર જ હુમલાઓ કરાવી રહી છે. મને પુરો વિશ્વાસ છે કે, એક દિવસ આ BJP વાળા ખત્મ કરી દેશે, મારું મર્ડર કરાવી દેશે.