ધાંગધ્રામાં બોરવેલમાં પડેલા 2 વર્ષના બાળક માટે સેનાના જવાનો જીવનદાતા બન્યા છે. જવાનોએ ગણતરીની મિનિટોમાં બાળકને હેમખેમ ઉગારી લીધો હતો.
જવાનોએ શિવમને આપ્યું નવજીવન
રમતાં રમતાં બોરમાં પડ્યો હતો બોરમાં
500 ફૂટ ઊંડા બોરમાં 30 ફૂટે ફસાયો હતો
સુરેન્દ્રનગરના દુદાપુર ગામે આવેલ 500 ફૂટ ઊંડા બોરવેલમાં 2 વર્ષનું બાળક પડી જતા ભાગદોડ મચી જવા પામી હતી. આ બોરવેલ ચાલું હોવાથી બાળક 30 ફૂટ ઊંડે જઈને ફસાઈ ગયું હતું અને તેના રડવાનો અવાજ આવી રહ્યો હતો. પરંતુ જેવી જ બાળક બોરવેલમાં પડ્યાની જાણ થતાની સાથે જ ગામ લોકોએ તંત્રને જાણ કરી દીધી હતી. પરંતુ તંત્રના અધિકારીઓ પહોંચે તે પહેલા તો સેનાના જવાનો મદદે પહોંચી ગયા હતા અને જવાનોએ 40 મિનિટમાં જ 2 વર્ષના બાળકને સુરક્ષિત રીતે બોરમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો.
સેનાના જવાનોએ 40 મિનિટમાં જ બાળકને સુરક્ષિત બહાર કાઢી લીધો
ઘટનાની વિગત અનુસાર મૂળ મધ્યપ્રદેશના અને મજૂરી કામ માટે આવેલા મુનાભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા. જ્યારે તેમની પત્ની રસોઈ કરતી હતી અને 2 વર્ષનો શિવમ બહાર રમતા-રમતા ખુલા બોર સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન અકસ્માતે શિવમ બોરમા પડી ગયો હતો. તેનો રડવાનો અવાજ સાંભળી તેની માતા દોડી આવી તો ખબર પડી કે, તેનો દીકરો બોરવેલમાં પડી ગયો છે. ત્યાર બાદ તેણે ગભરાયેલી હાલતમાં ખેતરના માલિકને વાત કરી હતી. જે અંગે જાણ થતાં ખેડૂત સહિત ગામ લોકો દોડી આવ્યા હતા. સાથે જ રેસ્ક્યુ માટે ફાયર બ્રિગેડને અને પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ નજીકમાં જ આવેલ આર્મી કેમ્પમાંથી સેનાના જવાનો દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. જવાનોએ બોરવેલમાં લોખંડનો હુંક નાખી દોરડાથી બાળકને ખેંચીને માત્ર 40 મિનિટમાં જ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો.
શિવમને નવજીવન આપવામાં આર્મી જવાનો નિમિત્ત બન્યા
મહત્વનું છે કે, આ ઘટનામાં બાળક ફસાયાની જાણ થતા જ ફાયર બ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ અને આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પરંતુ આ તમામ ટીમો પહોંચે તે પહેલા જ સેનાના જવાનોએ બાળકનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લીધું હતું. આમ બે વર્ષના શિવમને નવજીવન આપવામાં આર્મી જવાનો નિમિત્ત બન્યા હતા.