ધર્માંધ લોકોના દુષ્પ્રચારથી ગેરમાર્ગે દોરાઈને પંદર દિવસ પહેલા જ જેહાદી બનવા નીકળેલા આરિફ હુસૈનને આતંકવાદનો બહુ કડવો અનુભવ થયો છે, જે આતંકની રાહ પર આગળ વધવા ઈચ્છતા લોકોની આંખો ખોલનારો છે. એક સમયે આરિફ માનતો હતો કે, કાશ્મીરીઓ અને ઈસ્લામની સૌથી મોટી દુશ્મન ભારતીય સેના છે.
તેણે એસોલ્ટ રાઈફલ હાથમાં રાખીને એક વીડિયો પણ જારી કર્યો હતો, જેમાં તેણે ધમકી આપી હતી કે તે હિન્દુસ્તાની ફોજને કાશ્મીરમાંથી ખદેડશે, કેમ કે તે કાશ્મીરની દુશ્મન છે. જેહાદની રાહ પર ચાલી નીકળેલા આરિફને બહુ જલ્દી કડવી સચ્ચાઈનો સામનો કરવો પડ્યો. આજે હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલો આરિફ તેની સુરક્ષા માટે તહેનાત સુરક્ષાકર્મીને કહે છે કે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ.
મારે તો તમારી જેમ વર્દી પહેરીને દેશની રક્ષા માટે બંદુક ઉઠાવવાની જરૂર હતી. દક્ષિણ કાશ્મીરના બિજબિહાડાના ફતેહપુરાના રહેવાસી આરિફ હુસૈન બટને તેનો આ અનુભવ હંમેશા યાદ રહેશે. તે કહે છે કે, તેને અને તેના એક અન્ય સાથી આદિલ અહમદને હિઝબુલ મજાહિદ્દીનના અને લશ્કર-એ-તોઈબાના આતંકવાદીઓએ મિટિંગ માટે બોલાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આરિફને હતું કે હિઝબુલ અને લશ્કરના આતંકીઓ તેમની સાથે મળીને ભારતીય સેના પર કોઈ મોટો હુમલો કરવા ઈચ્છે છે, પણ તે ખોટું વિચારતો હતો. ત્યાં પહોંચતાની સાથે જ બંનેને ઘેરી લેવામાં આવ્યા અને તેમના પર જેહાદના દુશ્મન હોવાના અને પાકિસ્તાન વિરુદ્ધ જવાના આરોપો લગાવવામાં આવ્યા. આદિલને આરિફની નજર સામે જ ગોળીઓથી વિંધી નાખવામાં આવ્યો. જ્યારે તેણે ભાગવાની કોશિશ કરી ત્યારે આતંકીઓએ તેના પગ પર ગોળી મારી અને તેને નવો હોવાથી જીવતો છોડ્યો.
આરિફ કહે છે કે, મને એમ હતું કે ભારતીય સેના હવે મને મારી નાખશે, પણ મારા આશ્ચર્ય વચ્ચે તેમણે જ મને સરેન્ડર કરવા જણાવ્યું અને મારો જીવ બચાવ્યો. મેં માફી માંગી ત્યારે સેનાના અધિકારીએ કહ્યું કે, માફી તું તારા પરિવારજનોની માગજે, અમારી નહીં.
આરિફ હવે સાજો થયા બાદ કાશ્મીરની મસ્જિદોમાં જઈને યુવાનોને ગુમરાહ કરતા લોકો સામે મોરચો ખોલવાનો છે. તે કહે છે કે, કાશ્મીરના અસલી દુશ્મન ભારતીય સેનાના જવાનો નહીં, પણ જેહાદીઓ અને આતંકીઓ જ છે.