લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ મંથનમાં લાગી ગયા છે. ત્યારે આંદોલન કરીને કોંગ્રેસમાં જોડાયેલા અને કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અલગ રીતે તૈયારી કરતા હોય તેમ લાગી રહ્યું છે. ઠાકોર સેનાના નેજા હેઠળ એકતા યાત્રાનું આયોજન કરીને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ રાજકીય ગણગણાટ એવો છે કે ન માત્ર ભાજપને પણ કોંગ્રેસમાં ચાલતા આંતરિક કલેહને કારણે અલ્પેશ પોતાની શક્તિ બતાવવાના પ્રયાસમાં છે. શું છે એકતાયાત્રાનો હેતુ અને ક્યાથી ક્યા જશે યાત્રા જોઈએ આ અંગેનો અહેવાલ.
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે ફરી એકવાર મોચરો માંડ્યો છે. આ મોરચો માત્ર સરકાર સામે નહીં પરંતુ સાંકેતિક રીતે તેમના જ પક્ષ કોંગ્રેસ સામે પણ માંડ્યા હોવાની વાત છે.
અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં તેમની અવગણના થવાથી નારાજ હોવાના અહેવાલ મળી રહ્યા છે. ત્યારે તેમની આ યાત્રા ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. એક તરફ અલ્પેશ ભાજપમાં જોડાશે તેવી પણ વાત સામે આવી હતી પરંતુ રાહુલ ગાંધી સાથેની મુલાકાત તેઓ કોંગ્રેસના કાર્યકમો કરતા જોવા મળી રહ્યા હતા અને તે ભાજપમાં જવાની વાતને રદિયો આપી દીધો હતો પરંતુ તેમને કોંગ્રેસમાં મહત્વ ન મળતુ હોવાની વાતનો ગણગણાટ હતો. તેને લઈને તેમને શંકરસિંહ વાઘેલાના જેમ પોતાની શકિત બતાવવા પ્રયાસ કર્યો છે.
શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જ રહેતા શકિતદળના નામે પોતાની તાકાત બતાવી હતી. એ જ પ્રકારે હાલ લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પોતાની શકિત બતાવવાનો પ્રાયસ કરી રહ્યો છે. જો કે આ મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ યાત્રાને સામાજિક યાત્રા ગણાવી હતી.
ચૂંટણીઓ આવે ત્યારે યાત્રાઓ નીકળવી સામાન્ય હોય છે ત્યારે અલ્પેશ ઠાકોર ખેડૂતોના પ્રશ્નો અને બેરોજગારી મુદ્દે એકતાયાત્રા લઈને નીકળ્યા છે. અલ્પેશ ઠાકોરે અંબાજી મંદિરે પૂજા અને ધજા ચઢાવીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું. 12 દિવસ ચાલનારી આ યાત્રાનું ગાંધીનગરમાં સમાપન થવાનું છે.
મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે તાજેતરમાં જ ઠાકોર સેનામાં ફેરફાર કર્યાં છે. વળી ગરીબો અને દબાયેલા વર્ગ માટે એકતા યાત્રાએ નીકળેલા અલ્પેશ ઠાકોર પોતે એક વૈભવી કેરેવાનમાં રવાના થયા છે. આ વેનનો નજારો ફિલ્મસ્ટારને ટક્કર મારે તેવી છે.
આ રીતની વાન લઈને તે ગરીબોની વાતો કરી રહ્યા છે ત્યારે તેમની સામે અનેક સવાલો ઉભા થયા છે. દબાયેલા લોકોની વાત લઈને નિકળેલા અલ્પેશ ઠાકોર પોતાની શક્તિ બતાવી રહ્યા છે ત્યારે તેમની આ વૈભવી વેન આકર્ષણનું કેન્દ્ર બની છે.
રાજકારણમાં શક્તિપ્રદર્શન કરવું તે મહત્વનું હોય છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર પ્રયાસ કરી રહ્યા છે કે તેમની સાથે જનાધાર છે તે ભાજપ-કોંગ્રેસને દર્શાવી શકે છે. લોકસભામાં ઉત્તર ગુજરાતની બેઠકો પર ઠાકોર સમાજના મતદાતાઓ મહત્વના હોય છે ત્યારે સમાજના નામે યાત્રા યોજીને શક્તિ પ્રદર્શન કરી અલ્પેશ ઠાકોર તમામ પક્ષને પોતાનો સંદેશ આપવા માગે છે. જો કે હવે આ યાત્રા કોણે ફળે છે તે જોવાનુ રહ્યું.