જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન સેમિનારનુ આયોજન કરવામાં આવ્યુ હતું. સેમિનારમાં દેશભરના તજજ્ઞોઓએ હાજરી આપી હતી. પ્રાચીન વર્ષા વિજ્ઞાન આધારે તજજ્ઞોએ વરસાદની આગાહી કરી છે. તજજ્ઞો મુજબ ગુજરાત રાજ્યમાં 29 જૂનથી ચોમાસાની શરૂઆત થશે. સાથે જ 6 જુલાઈથી ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યમાં ચોમાસુ ખુબ સારુ રહેવાની તેવી પણ આગાહી કરાઈ છે.
જૂનાગઢમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાન સેમિનાર યોજાયો હતો. જેમાં 40 આગાહીકારોએ ચોમાસા અંગે વિચારો રજૂ કર્યા હતા. આગાહીકારોના કહેવા પ્રમાણે 29મી જુનથી ચોમાસાની શરૂઆત થશે. 6 જુલાઈથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વર્ષે સરેરાશ 50થી 60 ઇંચ જેટલો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગાહીકારો દ્વારા આગામી ચોમાસુ સારું રહેવાની આગાહી કરવામાં આવી છે. ફળ-ફૂલ અને વનસ્પતિના તથા વાદળોની સ્થિતિના અવલોકન બાદ તેઓ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આગાહીકારોના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. તો સપ્ટેમ્બરમાં જ વાવાઝોડું થવાની પણ આગાહી કરવામાં આવી છે. આગાહીકારોના કહેવા મુજબ આ વર્ષે ચોમાસુ 48થી 50 દિવસ લાંબુ ચાલશે. દિવાળી સુધી વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાન મામલે અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં 7 જૂન સુધીમાં કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 જૂન બાદ ઉત્તર ભારતમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. તો સિંધ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના વિદર્ભના ભાગોમાં ગરમી વધી શકે છે. 10 જૂન સુધીમાં દક્ષિણ ભારતના કેરળમાં ભારે વરસાદ થઈ શકે છે. 15થી 20 જૂન સુધીમાં દક્ષિણ મહારાષ્ટ્રના અનેક ભાગો તેમજ મુંબઈમાં ભારે વરસાદ થઈ શકે છે.
તો દક્ષિણ ગુજરાત અને દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે જૂનના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતથી ચોમાસું બેસશે. જેમાં ડાંગ, વલસાડ, આહવા અને અન્ય ભાગો તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં ચોમાસુ બેસશે. જ્યારે જૂલાઈના બીજા સપ્તાહથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થઈ શકે છે.