તમે કદાચ અમિતાભ બચ્ચનની અંધા કાનૂન ફિલ્મ જોઈ હશે જેમાં એક જીવતા વ્યક્તિના હત્યાના ગુન્હામાં હીરો જેલ ભોગવે છે. હવે આ વાત તો થઈ કાલ્પનિક ફિલ્મની પરંતુ બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ આવીજ ઘટના સામે આવી છે જેમાં જીવતા વ્યક્તિના ગુન્હામાં એક વ્યક્તિની જિંદગી બરબાદ થઈ જાય છે અને આખરે 26 વર્ષ બાદ તેને ન્યાય મળે છે.
બનાસકાંઠામાં ડીસા શહેરના રીઝમેન્ટ વિસ્તારમાં રહેતા ૪૮ વર્ષીય જેન્તીભાઈ રાણા જ્યારે 22 વર્ષના હતા ત્યારે અન્ય યુવાનોની જેમ તેમની આંખોમાં પણ ઊંચા ઊંચા સપના હતા.
જેન્તીભાઈનો પરિવાર ખૂબ ગરીબ હતો પરંતુ જેન્તીભાઈના વિચારો ખૂબ ઊંચા હતા. તે સમયે જેન્તીભાઈ ઘર ચલાવવાની સાથે સાથે અભ્યાસ પણ કરતા હતા અને પોતાના ભવિષ્ય ના નિર્માણ માટે સખત પરિશ્રમ કરી રહ્યા હતા ત્યારે તેમના ઉજ્જ્વળ ભવિષ્યને બરબાદ કરવા માટે પોલીસ નિમિત બની.
જેન્તીભાઈ એક ભ્રષ્ટ અધિકારીનો ભોગ બન્યા અને તેમની આખી જીંદગી બદલાઈ ગઈ. ફેબ્રુઆરી 1992માં ડીસા શહેર પોલીસ મથકમાં પી આઈ તરીકે ફરજ બજાવતા એન. જી. ધરાજીયા એ જેન્તીભાઈની અમદાવાદના રામસિંહ યાદવની હત્યાના ગુના અટકાયત કરી હતી અને બાદમાં જેન્તીભાઈને અઠવાડિયા સુધી ઢોર મારમારી ગુનાની કબુલાત કરાવી.
જેન્તીભાઈ આજીજી કરતા હાર્યા કગરતા રહ્યા કે તેઓ નિર્દોષ છે પણ પોલીસે તેમની એક વાત ન માની અને પોલીસ મથકમાંજ ઈકબાલે જુર્મ કરાવીને તેમને આરોપી બનાવી દીધા.
ત્યારબાદ જે વ્યક્તિની હત્યાના ગુન્હામાં તેઓ જેલમાં હતા તે રામસિંહ યાદવ અચાનક હાજર થતાં આખી ફરીયાદ પોલીસ દ્વારા ખોટી ઉપજાવી કાઢેલી હોવાનું બહાર આવ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં તો જેન્તીભાઈની કારકિર્દી ખતમ થઈ ગઈ હતી.
આ બાબતે જેન્તીભાઈએ કોર્ટમાં ફરિયાદ કરતાં કોર્ટે 26 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે અને તત્કાલીન પી.એસ.આઇ એન. જી. ધરાજીયા ને છ માસની સજા અને રૂપિયા 75 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
કોર્ટ દ્વારા લાંબા ગાળે પણ ન્યાય મળતા પોતાની કારકિર્દી ગુમાવી ચૂકેલા જયંતીભાઈ ભીલે ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જયંતીભાઈએ જણાવ્યું હતું કે મારા જવાની ના કીમતી વર્ષો અને મારી કારકિર્દી પોલીસ દ્વારા ખત્મ ગઈ થઈ ગઈ છે. પોલીસ તંત્રને જે સત્તાઓ આપવામાં આવી છે તેના પર અંકુશ લાવે જેથી મારા જેવા અન્ય કોઈનું જીવન બરબાદ થતું અટકાવી શકાય.
એક જીવિત વ્યક્તિના ગુન્હામાં ખોટી રીતે ફસાવતા તેમની જિંદગી બરબાદ થઈ ગઈ હતી અને આખરે 26 વર્ષે જેન્તીભાઈ ને ન્યાય તો મળ્યો છે પરંતુ જો એક નિર્દોષ વ્યક્તિને ન્યાય મેળવવું માટે 26 વર્ષ સુધી રાહ જોવી પડે તે ખરેખર આપણા ન્યાય તંત્રની વિડંબણા જ કહેવાય.
પોલીસને આપવામાં આવેલી અમર્યાદ સત્તાનો ઘણી વાર દુરૂપયોગથી નિર્દોષ વ્યક્તિનું સમગ્ર જીવન નર્ક સમાન બની જાય છે જેનો આ પુરાવો છે ત્યારે પલ્લીસની અમર્યાદ સત્તા પર અંકુશ આવે તે અત્યંત જરૂરી છે.