આણંદ અને ઉમરેઠથી 114 મુસાફરો અમરનાથ યાત્રાએ ગયા છે. ત્યારે આ તમામ મુસાફરો સુરક્ષિત છે તેમજ ઉમરેઠ તાલુકાની ૩ બસના મુસાફરો અમરનાથની યાત્રા કરીને પરત પણ ફર્યા છે.
આણંદ-ઉમરેઠમાંથી અમરનાથ ગયેલા 114 મુસાફરો સુરક્ષિત
અમરનાથની ઘટના બાદ મુસાફરોના પરિવારજનો સતત સંપર્કમાં રહ્યાં
પોરબંદરના પણ 60થી વધુ લોકો અમરનાથની યાત્રા પર
અમરનાથ યાત્રા (Amarnath yatra) દરમ્યાન વાદળ ફાટવાની ઘટના દરમ્યાન 16 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય કેટલાંક ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનામાં કેટલાંક ગુજરાતીઓ પણ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું હતું. ત્યારે તમને જણાવી દઇએ કે, આણંદ અને ઉમરેઠ વિસ્તારમાંથી અમરનાથ ગયેલા 114 જેટલાં મુસાફરો સુરક્ષિત હાલતમાં છે.
ઉમરેઠ તાલુકામાંથી ૩ લક્ઝરીબસ ૧૧૪ મુસાફરોને લઇને અમરનાથ યાત્રાએ ગઇ છે. જેમાં ઉમરેઠ, લીંગડા, થામણા અને તેની આસપાસના મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું. અમરનાથની ધટના બાદ મુસાફરોના પરિવારજનો સતત તેઓના સંપર્કમાં રહ્યાં હતા. ત્યારે આણંદ-ઉમરેઠના તમામ મુસાફરો સુરક્ષિત હોવાથી પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે.
ઉમરેઠ તાલુકાની ૩ બસના મુસાફરો અમરનાથની યાત્રા કરીને પરત ફર્યા છે.
પોરબંદરના પણ 60થી વધુ લોકો અમરનાથની યાત્રા પર
પોરબંદરના પણ 60થી વધુ લોકો અમરનાથની યાત્રા પર છે. ત્યારે તમને જણાવી દઇએ કે, પોરબંદરના તમામ યાત્રાળુઓ પણ સુરક્ષિત છે. તમામ લોકો માટે રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા થઇ ગઇ છે. વાતાવરણ સુધર્યા બાદ તેઓને અમરનાથના દર્શને મોકલાશે.
મોરબીના હળવદના ચાર યુવાનો પણ સહી સલામત
જેમાં મોરબી (Morbi) જિલ્લાના હળવદના ચાર યુવાનો અમરનાથની યાત્રાએ ગયા બાદ ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બાદ સંપર્ક વિહોણા બની ગયા હતા. ચારેય યુવાનો લાપતા બની જતા હળવદ રહેતા તેમના પરિવારજનો ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, પરિવારજનોએ સતત સંપર્ક ચાલુ રાખતા તેમની મહેનત ફળી હતી. આ ચારેય યુવાનો અમરનાથમાં હેમખેમ હોવાના સગડ મળતા તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હાલ વહીવટી તંત્ર દ્વારા શામજીભાઈ ભરવાડ, પ્રવીણ ભદ્રેશિયા, પ્રવીણભાઈ કુરિયા અને નયનભાઈ બાબરીયાને હેમખેમ પરત લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
યાત્રા દરમ્યાન હળવદના 4 યુવાનો સંપર્ક વિહોણા થયા હતા
હળવદના 4 યુવાનો અમરનાથ યાત્રા માટે ગયા હોવાનું અને ફસાયા હોવાના અને સંપર્ક વિહોણા થયા હોવાના સમાચાર ફરતા થયા હતા. જો કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મિત્રો સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું તો કલાકો બાદ ખુદ આ બાળકોએ જ પરિવાર સાથે સંપર્ક કરી પોતે સુરક્ષિત હોવાનું અને આર્મી બેઝ કેમ્પમાં જવા રવાના થયા હોવાનું અને પરિવારજનોને ચિંતા ન કરવા જણાવ્યું હતું.
યુવાનો પૈકી નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા ભારતીય સેનાના કેમ્પમાં પહોંચ્યા હતા અને અન્ય ત્રણ યુવાનો પણ ટૂંક સમયમાં સેનાના કેમ્પમાં પહોંચશે. આ ચારેય જણા સુરક્ષિત હોવાની માહિતી પ્રાપ્ત થતા તંત્ર તેમજ પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
વડોદરાના વકીલો પણ અમરનાથ યાત્રામાં ફસાયા
અમરનાથ યાત્રામાં વડોદરાના વકીલો પણ ફસાયા હતા. વાદળ ફાટતાં સર્જાયેલી સ્થિતિમાં 12 હજાર ફૂટની ઊંચાઈએ વકીલોનું ગ્રુપ પહોચ્યું હતું. વકીલોને રેસ્કયુ કરીને સલામત ટેન્ટમાં ખસેડાયા હતા. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ, જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર, જોઇન્ટ સેક્રેટરી નેહલ સુતરીયા, પૂર્વ લાઇબ્રેરી સેક્રેટરી ઘનશ્યામ પટેલ, સિનિયર વકિલ જગદીશભાઈ રામાણી અને પ્રણવ જોશીનું પણ રેસ્ક્યુ કરાયું હતું. મગન ઠાકરા, જયેશ ઠક્કર અને જયેશ રામાણી પણ અમરનાથ ગયા હતા.
અમરનાથ યાત્રા (Amarnath yatra) દરમિાન વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં મોરબી (Morbi) જિલ્લાના હળવદ(Halvad)ના ચાર યુવકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ 4 પૈકી એક યુવક હાલમાં આર્મી કેમ્પમાં પહોંચ્યો છે અને બાકીના ત્રણ યુવકો પણ આર્મી કેમ્પમાં પહોંચવાની તૈયારીમાં હોવાની માહિતી મોરબી વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી. આ ચાર યુવકોના નામ શામજીભાઈ વશરામભાઈ ભરવાડ, પ્રવીણ સિંધાભાઈ ભદ્રેશિયા, પ્રવીણભાઈ રમેશભાઈ કુરિયા અને નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા જણાવવામાં આવ્યા છે. યુવાનો પૈકી નયનભાઈ ગોરધનભાઈ બાબરીયા ભારતીય સેનાના કેમ્પમાં પહોંચ્યા હતા અને અન્ય ત્રણ યુવાનો પણ ટૂંક સમયમાં સેનાના કેમ્પમાં પહોંચશે. આ ચારેય જણા સુરક્ષિત હોવાની માહિતી પ્રાપ્ત થતા તંત્ર તેમજ પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
જામનગરનું દંપતિ પણ ફસાયું હતું
જામનગરના અમરનાથ યાત્રા ગયેલા દંપતિ ફસાયા હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા હતા. જો કે આ દંપતિએ પણ સલામત સ્થળે આશ્રય મેળવી લીધો છે. દંપતિ અમરનાથના દર્શન કરે તે પહેલા વરસાદ વિઘ્ન બન્યો હતો. જામનગરના દિપક વિઠ્ઠલાણી અને જાગૃતિ વિઠ્ઠલાણી અમરનાથથી 3 કિમીના અંતરે સલામત સ્થળે આશ્રય મેળવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમરનાથ ગુફા પાસે શુક્રવારના રોજ સાંજે વાદળ ફાટ્યું હતું. મળતી જાણકારી મુજબ આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા હતા જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક મળતી જાણકારી મુજબ જ્યારે આ ઘટના ઘટી ત્યારે લગભગ 12 હજાર યાત્રીઓ સ્થળ પર હાજર હતા. અમરનાથ ગુફાથી લગભગ બે કિલોમીટર દૂર આ ઘટના બની હતી. લગભગ સાંજના 5:30 વાગ્યે અમરનાથની ગુફાની નજીક વાદળ ફાટ્યું હતું. જો કે, તુરંત સ્થળ પર NDRF, SDRF અને તમામ સંબંધિત એજન્સીઓએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.