નવી દિલ્હીઃ પંજાબના અમૃતસરમાં મોટી રેલવે દુર્ઘટના સર્જાઇ છે. પઠાનકોટથી અમૃતસર તરફ આવી રહેલ ટ્રેનની ઝપેટમાં આવી જતા 50થી વધુ લોકોના મોતની સંભાવના જણાવાય રહી છે.
એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર આ પહેલા અમે એવું જોયું હતું કે કોઇના હાથ તો કોઇના પગ કપાયેલા પડેલા. આજે પણ એવો બનાવ હતો. નવજોત સિંહ સિદ્ધુ અહીંના ધારાસભ્ય છે. તેમની પત્ની નવજોત કૌર સિદ્ધુ સ્ટેજ પર હાજર હતી. પરંતુ ઘટના બાદ તે કાર લઇને ત્યાંથી ચાલી ગઇ હતી. અમારે મદદની જરૂર હતી પરંતુ તે મદદના બદલે ઘટના સ્થળેથી ભાગી ગઇ.
ત્યારે પંજાબ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમની પત્ની ઇજાગ્રસ્તોને મળવા માટે હોસ્પિટલ ગઇ છે.
જણાવાય રહ્યું છે કે આ દુર્ઘટના ચૌડા બજાર નજીક થઇ છે. આ અકસ્માત તે સમયે થયો જ્યારે ટ્રેન પાટા નજીક રાવણના પુતળાનું દહન કરવામાં આવી રહ્યું હતું. જેને જોવા માટે ટ્રેકની પાસે લોકો ઉભા હતા.