કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આગામી તા.26 ઓક્ટોબરે પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર થયેલા શહેરના સૌથી મોટા ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત તેઓ રિંગરોડ પરના સાયન્સ સિટી સર્કલ ખાતે થ્રીલેયર ફ્લાય ઓવરબ્રિજ સહિત ઔડાના રૂ.214 કરોડના કામનું ભૂમિપૂજન કરશે.
દેશના ગૃહપ્રધાન અમિતશાહ 26મી તારીખે કરોડોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરીને ગુજરાતને દિવાળીભેટ આપશે.
સાયન્સ સિટી સર્કલ ખાતે થ્રીલેયર બ્રિજ માટે રૂ.73 કરોડનો પ્રોજેકટ
શહેરના અતિવ્યસ્ત આશ્રમરોડ પર મ્યુનિ. કોર્પો. દ્વારા ઇન્કમટેક્સ ફલાય ઓવરબ્રિજ બાદ હવે અંજલી ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ થનાર હોઇ આ બંને બ્રિજથી આશ્રમરોડના ટ્રાફિકનો પ્રશ્ન હળવો બનશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મ્યુનિ. કોર્પોરેશનના અન્ય પ્રોજેકટનાં પણ ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. દરમિયાન ઔડા દ્વારા સરદાર પટેલ રિંગરોડ પર સાયન્સ સિટી સર્કલ ખાતે થ્રીલેયર બ્રિજ માટે રૂ.73 કરોડનો પ્રોજેકટ તૈયાર કરાયો છે.
કુલ 214 કરોડના વિભિન્ન પ્રોજેકટનું ભૂમિપૂજન અમિત શાહના હસ્તે
આ ઉપરાંત રિંગરોડ પર રૂ.61 કરોડના ખર્ચે ઝુંડાલ ખાતે ફલાય ઓવરબ્રિજ તૈયાર કરાશે. બોપલ ટીપી 1-2 અને 3માં રૂ. 73 કરોડના ખર્ચે વોટર સપ્લાય પ્રોજેક્ટ તેમજ બોપલ ટીપી-3માં રૂ.6.30 કરોડના ખર્ચનો લાઇબ્રેરી પ્રોજેક્ટ મળી કુલ 214 કરોડના વિભિન્ન પ્રોજેકટનું ભૂમિપૂજન અમિત શાહના હસ્તે તા. 26 ઓક્ટોબરે કરાશે.