Team VTV06:36 PM, 09 Nov 22
| Updated: 06:37 PM, 09 Nov 22
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાની મુલાકાતે ગયા ત્યારે સૌની નજર તેમના પર હતી, જે બાબતે અમેરિકાના વિદેશ મંત્રાલયએ જયશંકરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા ભારતનો સંદેશ સાંભળવો જોઈએ
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે મોસ્કોમાં થયેલી મંત્રણાના બાબતે નેડ પ્રાઈસે કહ્યું કે ગત મહિને મહિનાઓમાં અમે ભારતીય વિદેશ મંત્રાલય સાથે ઘણી વાતચીત કરી છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પણ એસ જયશંકરને મળ્યા છે. નેડ પ્રાઈસે કહ્યું કે ભારતે ફરીથી કહ્યું છે કે તે યુદ્ધની વિરુદ્ધ છે. આવી જ સલાહ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આપી હતી અને હવે જયશંકરે પણ આ જ વાત કહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમરકંદમાં પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી.
યુદ્ધનો ઉકેલ વાતચીત લાવે
નેડ પ્રાઈસે કહ્યું કે ભારતે સંદેશ આપ્યો છે કે તે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા લાવે. ભારતે કહ્યું છે કે આ યુદ્ધનો સમય નથી, આવી સ્થિતિમાં બંને દેશોએ ભારતની ભૂમિકાનું મહત્વ સમજવું જોઈએ.
રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે અમેરિકાની પ્રતિક્રિયા
મોસ્કોમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે. અમેરિકાના પ્રવક્તા નેડ પ્રાઈસે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ મામલો રશિયા અને ભારતના દ્વિપક્ષીય હિતો સાથે જોડાયેલો છે. સામૂહિક હિતોને ધ્યાનમાં રાખીને ભારતે રશિયા પરની નિર્ભરતા ઓછી કરવી જોઈએ. અમેરિકાએ કહ્યું કે ભારતને ઊર્જાની ખૂબ જ જરૂર છે અને તેથી જ તે રશિયા પાસેથી ઈંધણ ખરીદી રહ્યું છે તે પ્રતિબંધોનું ઉલ્લંઘન કરતું નથી. તેમણે કહ્યું કે આ સમય રશિયા સાથે વેપાર કરવાનો નથી અને જે દેશો તેના પર નિર્ભર છે તેમણે રશિયા સાથેનો વેપાર ઓછો કરવો જોઈએ.