AMC દ્વારા BU પરમિશન વગરના 148 કોમર્શિયલ એકમો સામે આકરા પગલાં ભરી એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે.
BU પરમિશન વિના ચાલતા એકમો સામે AMCની કાર્યવાહી
અમદાવાદના 148 કોમર્શિયલ એકમો સીલ કરાયા
સરખેજની ઉજાલા અને નવરંગપુરાની હેલ્ધી માઈન્ડ હોસ્પિટલ સીલ
અમદાવાદમાં BU (બિલ્ડિંગ યુસેજ) પરમિશન વગરના ચાલતા એકમો સામે AMCએ લાલ આંખ કરી છે. જેમાં AMCએ સપાટો બોલાવી સરખેજની ઉજાલા અને નવરંગપુરાની હેલ્ધી માઈન્ડ હોસ્પિટલ સહિત અમદાવાદના 148 કોમર્શિયલ એકમો સીલ કરી દીધા છે. અમદાવાદ વિસ્તારમાં BU પરમિશન વગર જ બિલ્ડિંગ ઉપયોગ કરાતો તેની સામે કોર્પોરેશન વિભાગે કાર્યવાહી કરી હતી.
હાઇકોર્ટના આદેશ બાદ AMCની કાર્યવાહી
રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે સુનાવણી દરમિયાન મોટો આદેશ આપતા હાઈકોર્ટ કહ્યું હતુ કે SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને BU પરમિશન વગરના એકમો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે. વધુમાં હાઈકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ એ પછી કોઈપણ હોય. હાઈકોર્ટના આ મહત્વના આદેશ બાદ ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર ચાલતા એકમો સીલ કરવાનું અભિયાન હાથ ધરાયું હતું.
ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી બાદ કાર્યવાહી
આપને જણાવી દઈએ કે એવી કેટલીય સરકારી ઈમારતો અને સંકુલો છે જ્યાં ફાયર સેફટી નથી. અથવા તો હાઈકોર્ટના કડક વલણ બાદ ફાયર સેફટી લેવાઈ છે. નોંધનિય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરની અંદર આવેલી કેટલીક બિલ્ડિંગો બીયુ પરમિશન વગર અને ફાયર એનઓસી વગર ઊભી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે થયેલી અરજી પરની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે આવા એકમો પર કાર્યવાહી કરવા જણાવ્યુ હતું.