'પરણ્યાં એટલે પ્યારાં લાડી, ચાલો આપણે ઘેર રે...' એવાં મંગળ ગીતો અને ઢોલ-શરણાઈના મંગળ સૂરોના માહોલમાં શહેરભરમાં લગ્ન પ્રસંગની સિઝન પૂરબહારમાં ખીલી ઊઠી છે. હજુ આગામી તા. 14 ડિસેમ્બર સુધી લગનિયાં લઈ શકાશે અને તેમાં ઠાઠથી મહાલી શકાશે. જોકે કોરોનાને કારણે અમલમાં મુકાયેલા રાત્રિ કર્ફ્યુથી રાતના સમયનાં ઝાકમઝોળભર્યાં લગ્નની રંગત ગાયબ થઈ હોઈ દિવસનાં લગ્ન અમુક અંશે ફિક્કાં બન્યાં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
અમદાવાદ મ્યુનિ. તંત્ર લગ્ન પ્રસંગે SOP પળાવવામાં બેદરકાર
એક ડેપ્યુટી કમિશનર તો કોરોના કાળમાં ટ્વિટર પર કવિ બન્યા
આવતીકાલના ભારત બંધના એલાનથી લગ્ન હોય તેવા ઘરમાં ઉચાટ
જો કોરોનાને કારણે લગ્નના ભભકા ખાસ રહ્યા નથી તો કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવામાં જાણ્યે-અજાણ્યે આવા માંગલિક પ્રસંગોમાં માસ્ક પહેરવું કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જેવા નિયમો પળાતા નથી. આમાં મ્યુનિ. તંત્રની પણ છૂપા આશિષ હોય તેમ લગ્ન સમારંભમાં કોઈ ચેકિંગ થતું નથી. અલબત્ત આ બાબત કોરોનાને વધુ જોખમી બનાવે તેમ છે.
લોકો લગ્ન નિમિત્તે ચાર વખત જમણવાર કરવાના કીમિયા અજમાવી રહ્યા છે
કોરોના મહામારીને પગલે જાહેર કરાયેલી નવી એસઓપી મુજબ હવે લગ્ન પ્રસંગોમાં વધુમાં વધુ 100 વ્યક્તિને જ હાજર રાખવાની મંજૂરી અપાઈ છે. જાનૈયા-માંડવિયાના મહેમાનોની યાદી, કંકોત્રી, લગ્ન સ્થળ વગેરે બાબતે પોલીસની લીલીઝંડી લેવી પડે છે. તા. 14 ડિસેમ્બર પછી લગ્નનાં મુહૂર્ત છેક 20 એપ્રિલ પછી આવનાર હોઈ વસંત પંચમી કે વેલેન્ટાઇન ડેએ પણ લગ્નનાં મુહૂર્ત ન હોવાનું જાણકારો કહે છે. એટલે જો છેલ્લાં મુહૂર્તમાં લગ્ન ન યોજાય તો સાડા ત્રણ મહિના સુધી નવાં શુભ મુહૂર્તની રાહ જોવી પડે તેમ હોઈ શહેરમાં લગ્નસરાની સિઝન જામી છે.
જોકે ગત તા. 24 નવેમ્બરથી લગ્ન સમારંભની નવી ગાઇડલાઇન મુજબ 200ના બદલે 100 વ્યક્તિની સંખ્યા નિશ્ચિત કરાઈ છે. એક તરફ રાજ્ય સરકાર કોરોનાને અંકુશમાં લેવા પ્રયાસ કરી રહી છે, બીજી તરફ અમુક પરિવાર વધુ ને વધુ સ્નેહીજન-મિત્રોનો સમાવેશ કરવા લગ્ન નિમિત્તે ચાર વખત જમણવાર કરવાના કીમિયા અજમાવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિ. તંત્ર લગ્ન પ્રસંગે SOP પળાવવામાં બેદરકાર
આમાં મ્યુનિ. તંત્ર તો 'નરો વા કે કુંજરો વા'ની જેમ બેઠું છે. કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ લગ્ન પ્રસંગમાં હાજર રહેનારાઓનો ત્રણ દિવસ પહેલાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી છે. આ રિપોર્ટ મોબાઇલ ફોનમાં સેવ કરેલો હોવો જોઈએ અને મ્યુનિ. તંત્રના સેનેટરી ઇન્સ્પેક્ટર ચેકિંગ કરે તે વખતે તેમને બતાવવાનો હોય છે, પરંતુ હેલ્થમાંથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં મુકાયેલા મોટા ભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર તેમની ફરજ બજાવવામાં લાપરવાહી દાખવી રહ્યા છે. કોરોનાની એસઓપીનાં પાલન માટે રાજ્યનાં અન્ય શહેરોનો મ્યુનિ. સ્ટાફ જાગ્રત છે અને દરોડા પાડે છે, પરંતુ અમદાવાદ મ્યુનિ. તંત્ર આ દિશામાં હજુ નિષ્ક્રિય છે.
આવતીકાલના ભારત બંધના એલાનથી લગ્ન હોય તેવા ઘરમાં ઉચાટ
બીજી તરફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારી કોરોના કાળમાં ટ્વિટર પર શાયરી કરી રહ્યા છે. આ અધિકારીનાં પર્સનલ એકાઉન્ટમાં હવે પહેલાંની જેમ કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ કરાયેલી દંડનીય કામગીરી મુકાતી નથી. છેલ્લે તા. 29-30 નવેમ્બરે તંત્રે અમદાવાદીઓ પાસેથી રૂ. 3.03 લાખની પેનલ્ટી વસૂલી હતી, તેવી માહિતી જોવા મળી હતી. આનાથી એક જવાબદાર અધિકારી કોરોનાનાં સંકટમાં જાણે કે ફરજ ભૂલ્યા હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આની સાથે આવતી કાલનાં ખેડૂતોનાં ભારત બંધનાં એલાનથી લગ્ન પ્રસંગ લઈને બેસનારા સેંકડો પરિવારમાં ઉચાટ ફેલાયો છે. અમદાવાદમાં ભારત બંધને કેવો પ્રતિસાદ મળશે તેની ચિંતા-ફિકરમાં આ લોકો હોઈ હવે કોરોના બાદનાં આ બીજા વિઘ્નની પણ શહેરમાં ચર્ચા થઈ રહી છે.