અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં અમદાવાદમાં ફરી એકવાર પાનનાં ગલ્લાંઓ બંધ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ નવા પરિપત્ર અનુસાર, પાનનાં ગલ્લાં બહાર કોઈ થૂંકતો ઝડપાઇ તો ગલ્લાવાળાને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. જેને અંતર્ગત સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી
પાનનાં ગલ્લાં બહાર કોઈ થૂંકતો ઝડપાઇ તો ગલ્લાવાળાને 10 હજારનો દંડ
પૂર્વ વિસ્તારનાં તમામ પાનનાં ગલ્લાંઓ તંત્ર દ્વારા બંધ કરાવાયા હતા
અમદાવાદમાં માસ્ક ન પહેરવા અને પાનનાં ગલ્લા મામલે નવા નિયમ મુજબ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરના 7 ઝોનમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાન ગલ્લાઓ પર ચેંકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પાન ગલ્લાની આસપાસ ગુટખાની પિચકારીના નિશાન મળી આવતા મનપા દ્વારા પાનના ગલ્લાઓને સીલ કરવામાં આવ્યા હતા. જેને કારણે કાલુપુરના હોલસેલ માર્કેટમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સોલિડ વેસ્ટ વિભાગે પૂર્વ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. જેમાં પાનનાં ગલ્લાંની આસપાસ ગંદકી અને ગુટખાની પિચકારીના નિશાન મળી આવવાના કારણે સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી કરી હતી. જેને લઇને પૂર્વ વિસ્તારનાં તમામ પાનનાં ગલ્લાંઓ તંત્ર દ્વારા બંધ કરાવાયા હતા. AMC દ્વારા કરવામાં આવેલાં નવા પરિપત્રને લઈને સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરી હતી.
AMCની કાર્યવાહીના કારણે દુકાન ધારકોમાં ફફડાટ ફેલાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ મોટી કાર્યવાહીને લીધે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ફરીથી પાનનાં ગલ્લાઓ બંધ થશે કે શું તેવા ડરથી લોકો કાલુપુર હોલસેલ માર્કેટમાં ઉમટી પડ્યા હતા. અહીં ફરીથી અફરાતફરી જેવો માહોલ જોવા મળ્યો હતો. દુકાનદારો હોલસેલ માર્કેટમાં વસ્તુઓ લેવા માટે પડાપડી કરી મૂકી હતી અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.
પાનના ગલ્લા પાસે થૂંકનારને 500 રૂપિયા દંડ
કોરોના વાયરસને રોકવા માટે અમદાવાદમાં હવે કડક નિયમો લાગુ કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં થૂંકવા અને માસ્ક ન પહેરવા સામે દંડની રકમ વધારી દેવામાં આવી છે. પાનના ગલ્લા પાસે થૂંકનારને 500 રૂપિયા દંડ અને જાહેરમાં માસ્ક ન પહેરનારને 500 રૂપિયાનો દંડ નક્કી કરાયો છે. પાનના ગલ્લા પાસે કોઇ વ્યક્તિ થૂંકશે તો ગલ્લાના માલિકને 10 હજારનો દંડ થશે.
ST બસ સ્ટોપ પર મુસાફરોનું ચેકિંગ શરૂ કરાયું
અમદાવાદમાં સંક્રમણને રોકવા AMCએ નવો એક્શન પ્લાન બનાવ્યો છે. ST બસ સ્ટોપ પર મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. સંક્રમણને અટકાવવા તમામ મુસાફરોનું રેપિડ કીટથી ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. નહેરુનગર, રાણીપ, કૃષ્ણનગર ST સ્ટોપ પર ટેસ્ટિંગ શરૂ કરાયું છે. મુસાફર સંક્રમિત હશે તો તરત જ સારવાર માટે ખસેડવામાં આવશે. મુસાફર ભાગી ન જાય તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. લક્ષણો નહીં હોય તેવા દર્દીઓને સમરસ ખાતે સારવાર આપવામાં આવશે.
હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 164 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 152 અને અમદાવાદ જિલ્લામાં 12 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 23,259 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 151 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,943 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 3 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1524 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3792 એક્ટિવ કેસ છે.