AMCની રેવન્યુ કમિટીની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય, 3 માસ માટે પ્રોપર્ટી ટેક્સ પર ચઢેલુ વ્યાજ 50% થી લઈ 80% સુધી થશે માફ
પ્રોપર્ટી ટેક્સ પર ચઢેલુ વ્યાજ માફ કરવાની યોજના જાહેર
૩૧ જાન્યુઆરી સુધી રહેઠાણમાં 80 ટકા વ્યાજ માફ
કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં 60 ટકા જેટલી વ્યાજની રાહત
કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર દરમિયાન વ્યાપાર ઉદ્યોગ લાંબા સમયથી બંધ હાલતમાં હતો. મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો અને કેટલાય લોકોનો ધંધો ન ચાલવાને કારણે બેંક લોન, વીજળીના બિલ, મિલકત વેરો વગેરે ચૂકવવામાં અસમર્થ હતા. આથી ભાગી પડેલા ઉદ્યોગોને ફરી બેઠા કરવા ખાસ કરીને કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં મોટી રાહત આપવા મિલકત વેરા પર વ્યાજ માફી માટે AMCએ યોજનાની જાહેરાત કરી છે.
પ્રોપર્ટી ટેક્સ પર ચઢેલુ વ્યાજ માફ કરવાની યોજના જાહેર
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી રેવન્યુ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સ પર ચઢેલુ વ્યાજ માફ કરવાની યોજના જાહેર થઈ છે. 3 માસ માટે મિલકત વેરા પર વ્યાજ માફી માટેની આ યોજનામાં ૩૧ જાન્યુઆરી સુધી રહેઠાણમાં 80 ટકા વ્યાજ માફ તો કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં 60 ટકા જેટલી વ્યાજની રાહત આપવામાં આવી છે. 28 ફેબ્રુઆરી સુધી રહેઠાણમાં 75 ટકા વ્યાજ માફી અને કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં 55 ટકા વ્યાજમાફી થશે તેવુ એલાન કરવામાં આવ્યું છે. તો છેલ્લા અને ત્રીજા મહિનામાં 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સ ભરનારને રહેઠાણમાં 70 ટકા વ્યાજમાફી, કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં 50 ટકા વ્યાજ રાહતની જાહેરાત કરવામાં આવી છે.
પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.350 કરોડ થશે ભેગા
વ્યાજમાં રિબેટ અપાતા નિયમિત તેમજ બાકી વેરો ઝડપથી ભરાશે જેથી પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.350 કરોડ એકઠા કરવાનો AMCનો અંદાજ રાખ્યો છે. જે અંતર્ગત બાકી પ્રોપર્ટી ટેક્સ ભરી દેનારા કરદાતાઓના ટેક્સના વ્યાજમાં 50 ટકાથી લઇને 80 સુધી વ્યાજ માફી સુધીની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કિમનો લાભ આગામી 31 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી લઈ શકાશે. મહત્વનું છે કે AMCના ચોપડે કોરોનાના કારણે કરોડોનો પ્રોપર્ટી ટેક્સ તેમજ કોમર્શિયલ ટેક્સ બાકી બોલે છે. જે આ ત્રિમાસિક યોજનાની વ્યાજ માફીની જાહેરાતથી એક સામટો ઑછો થશે તેવો અંદેશો લગાવામાં આવી રહ્યો છે.