કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી. કોંગ્રેસનાં બંન્ને ધારાસભ્યએ પોલીસ દ્વારા હેરાનગતી કરવામાં આવતી હોવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી. જેમાં ધવલસિંહને પોલીસ દ્વારા હેરાનગતિ કરતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ માટે બંને ધારાસભ્ય CM રૂપાણીનાં નિવાસસ્થાને ગયા હતાં.
મહત્વનું છે કે આજે અલ્પેશ ઠાકોર અને સીએમ રૂપાણી વચ્ચે બંધ બારણે બેઠક થઇ. જેમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારે અલ્પેશ અને સીએમ રૂપાણી વચ્ચેની બેઠકને લઇને ચર્ચા પણ શરૂ થઇ છે. આ બેઠકને લઇને અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની અટકળો પણ વધુ તેજ બની છે.
આ પહેલાં પણ અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઇ હતી. ભાજપનાં ઠાકોર સમાજનાં નેતાઓએ સીએમને કરી રજૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોરને ભાજપમાં ના જોડવા માટેની રજૂઆત કરી હતી. આ બેઠકમાં પોલીસ દ્વારા ધવલસિંહ ઝાલાને વારંવાર નોટીસ આપવાનાં મુદ્દે સીએમ રૂપાણી સાથે મુલાકાત થઇ હતી. હસમુખ પટેલ દ્વારા ધવલસિંહ સામે કેસ પરત ખેંચ્યાં બાદ પણ પણ પોલીસે નોટીસ પાઠવી હોવાંથી સીએમ રૂપાણી સાથે મુલાકાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે આ મુદ્દે અગાઉ પણ ભાજપનાં વિધાનસભાનાં દંડક એવાં ભરત ડાભી તથા બનાસકાંઠા જિલ્લાનાં ભાજપનાં પ્રમુખ અને પૂર્વ પ્રધાન કેશાજી ઠાકોર સહિતનાં કેટલાંક ઠાકોર આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરી હતી કે અલ્પેશ ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરીને સૌને મૂર્ખ બનાવી રહ્યો છે માટે અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ આપવો નહીં.
જો કે આ મુદ્દે અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવા અંગેની વહેતી અટકળો મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ બધી વાતો ખોટી છે અને હું ભાજપમાં જોડાવાનો નથી. મારી અને શંકરસિંહ ચૌધરીની મુલાકાત માત્ર ઔપચારિક હતી. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ભાજપમાં જોડાવાની વાત છેલ્લાં કેટલાંય સમયથી થઈ રહી હતી જેનાં કારણે આ મુલાકાતનાં વીડિયોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યુ હતું.
મહત્વનું છે કે પોતાની એકતાયાત્રા કરેલ અલ્પેશ ઠાકોર દિયોદરનાં રામવાસ ખાતે ભાજપનાં દિગ્ગજ નેતા શંકર ચૌધરીને મળતા દેખાયાં હતાં. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ વીડિયોમાં અલ્પેશ ઠાકોર ભાજપનાં દિગ્ગજ નેતા શંકર ચૌધરી સાથે હાથ મિલાવતા નજરે પડે છે તેમ જ તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો. જેથી આ મુદ્દે અલ્પેશ ઠાકોરે 'હું ભાજપમાં જોડાવાનો નથી જેવું નિવેદન આપ્યું હતું.'