રાજ્ય સરકાર દ્વાર હવે એક નવું પગલું લેવાનું વિચારાઈ રહ્યું છે. સરકાર હવે 16 જેટલી આરટીઓ ચેકપોસ્ટ નાબૂદ કરવાની વિચારણા કરી રહી છે. આનું એક માત્ર કારણ એ છે કે રાજ્યમાં ભારે વાહનો દ્વારા ગેરરીતિ અને નિયમોના ભંગને લઈને ચેકિંગ અને દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. જેમાં ભારે ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે.
ચેક પોસ્ટ પર થતી ગેરરીતિ અને મોટા પ્રમાણમાં સ્ટાફની ફાળવણીની બાબતોને ધ્યાને લઇ વાહન વ્યવહાર વિભાગ ચેકપોસ્ટ નાબૂદ કરીને દંડની ઓનલાઇન વસૂલાતની વ્યવસ્થા ફાળવશે.
માર્ગો પર ફ્લાઇંગ સ્ક્વોડ સક્રિય બનાવાશે
ચેકપોસ્ટ ઉપર સ્ટાફ અને મળતિયાઓ દ્વારા ગેરરીતિ થતી હોવાની વ્યાપક ફરિયાદો સરકારને મળી છે. ચેકિંગને કારણે વાહનોની લાંબી લાઇનો લાગે છે તેમજ અન્ય ટ્રાફિકને પણ અડચણરૂપ થાય છે. આ સિવાય 16 જેટલી ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક ડ્યૂટી માટે મોટી સંખ્યામાં સ્ટાફ ફાળવવો પડે છે. જેના કારણે અન્ય કામ અટવાઈ જાય છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે, ચેકપોસ્ટ નાબૂદ કરીને વાહનમાલિકો ટેક્સ, ઓવરલોડ દંડની રકમ ઓનલાઇન ભરે અને વાહનની સાથે પાવતી રાખે તેવી વ્યવસ્થા ગોઠવાશે. જેમણે ઓનલાઇન ટેક્સ કે દંડ નહીં ભર્યો હોય તેમની પાસેથી 10 ગણો કે તેથી વધુ દંડ વસૂલાશે.
ચેકપોસ્ટના કર્મીઓને કચેરીઓમાં મુકાશે
ચેકપોસ્ટ નાબૂદ થયા બાદ આરટીઓના અધિકારી અને કર્મચારીઓની વ્યાપક બદલીઓ કરવામાં આવશે. ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતા તમામ કર્મીઓને કચેરીઓમાં પોસ્ટિંગ અપાશે. જ્યારે પ્રામાણિક અધિકારીઓની ફ્લાઇંગ સ્ક્વોડ બનાવાશે જે વાહનોના ચેકિંગની કામગીરી કરશે.