ભગવાન જગન્નાથજી 143મી રથયાત્રા અમદાવાદમાં નિકળી ન શકી તે બાબત હવે મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહી છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજીએ બુધવારે પત્રકારો સમક્ષ રથ મંદિરની બહાર નિકળી ન શકવા મામલે બળાપો ઠાલવ્યો હતો. મહંત દિલિપદાસજીનું કેટલાક યુવાનોએ પણ સમર્થન કર્યું હતું અને સરકાર નિશાન સાધ્યું હતું. તો ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું કે સરકારે પ્રયાસો કર્યા પરંતુ મંજૂરી ના મળી. આ અંગે હવે AHPના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ મોટું નિવેદન આપ્યું છે. તેથી હવે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રાને લઇ વધુ વિવાદ વકર્યો છે.
અગિયારસના દિવસે ફરી રથયાત્રા નિકળેઃ પ્રવિણ તોગડિયા
અમે ખોટા વ્યક્તિઓ સાથે ભરોસો રાખ્યોઃ દિલીપદાસજી
આંતરરાષ્ટ્રિય હિંદૂ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાની પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમદાવાદની 143મી રથયાત્રા પરંપરાગત નિકળવી જોઈતી હતી. રથયાત્રા નહીં નિકળતા કરોડો હિંદુઓનુ અપમાન થયું છે. કોરોના ન ફેલાય અને પરંપરા સચવાય તે શક્ય હતુ. 2 કલાક કર્ફ્યૂ રાખીને શહેરમાં રથ નિકળી શક્યો હોત.
અગિયારસના દિવસે ફરી રથયાત્રા નિકળેઃ પ્રવિણ તોગડિયા
તોગડિયાએ કહ્યું કે, અગિયારસના દિવસે ફરી રથયાત્રા નિકળે. મંદિરના મહંત પોતાના માથા પર ભગવાનને લઈ નીકળે. રથયાત્રાના માર્ગ પર વાહન 20-30 કીમીની ઝડપે નિકળે. ભગવાનને બહાર નિકળવા પર પ્રતિબંધ ન હોઈ શકે. પ્રતિબંધ રથયાત્રા પર છે ભગવાનના બહાર નિકળવા પર નહીં. ટ્રસ્ટીઓ ગૌચર કૌભાંડથી ડરતા હોય તો રાજીનામુ આપે. કાલે મંદિરમાં જતા ભક્તોને પણ રોકવામાં આવ્યા. ગુજરાત સરકાર પહેલેથી જ કોર્ટમાં કેમ ન ગઈ ?
અમે ખોટા વ્યક્તિઓ સાથે ભરોસો રાખ્યોઃ દિલીપદાસજી
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું કે હું ભક્તોને દિલગીરી વ્યક્ત કરું છું. રથયાત્રા યોજાવાનો ભરોસો રાખ્યો હતો. રથયાત્રાને લઈ મેં ભરોસો રાખ્યો તે હિસાબે થયું નહીં. અમારી સાથે બહુ મોટી રમત રમાઈ છે. મેં જેમના પર ભરોસો કર્યો તેમણે મારો ભરોસો તોડ્યો. અમે સાધુ છીએ અમને કોર્ટની ખબર નથી. અમે ખોટા વ્યક્તિઓ સાથે ભરોસો રાખ્યો હતો.
કોરાનાના કારણે રથયાત્રા નથી નિકળીઃ પ્રદિપસિંહ
આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, રથયાત્રાની પુર્વ સંધ્યાએ CM એ જગન્નાથ મંદિર ગયા હતા. ઓડિસા અંગે SCના ચુકાદા બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. સરકારે કોર્ટને શરતો અંગે બાંહેધરી પણ આપી હતી. જૂની પરંપરાઓ રથયાત્રા સાથે જોડાયેલી છે. સવારે 6 વાગ્યાથી સાડા 10 વાગ્યા સુધી રથયાત્રા પુરી કરવા બાંહેધરી આપી હતી. લોકો એકત્રિત ન થાય તે માટે કર્ફ્યૂ લગાડવાની તૈયારી બતાવી હતી. સોશિયલ ડિસ્ટંસ જાળવવા માટે પુરતો બંદોબસ્ત જાળવવાની રજૂઆત કરી હતી. લોકો ઘરમાં બેસીને રથયાત્રા નિહાળે તે વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી.
પ્રદિપસિંહે કહ્યું હતું કે, અમદાવાદ શહેરમાં મોડીરાતે પોલીસની ટીમો પહોંચાડી હતી. રથયાત્રાને પરવાનગી ન મળતા સરકાર, CM અને મને દુઃખ છે. ઓડિશા એ ગ્રીન ઝોનમાં છે, અમદાવાદ રેડ ઝોનમાં છે. કોરોનાની દ્રષ્ટી એ પુરી અને અમદાવાદની સ્થિતિ અલગ છે. કોરોનાને કારણે રથયાત્રા કોર્ટે રથયાત્રાની મંજૂરી ન આપી.