અમદાવાદરમાં આંગડિયા લૂંટ, ચેઇન સ્નેચિંગ, મોબાઇલ અને પર્સ સ્નેચિંગની ઘટનાઓ દિવસેને દિવસે વધે છે. જેને રોકવા માટે પોલીસે એડીચોટીનું જોર લગાવતાં ક્યાંકને ક્યાંક સફળતા પણ મળી રહી છે. પોલીસે તમામ ઘટનાઓનું એનાલિસિસ કર્યું તો તેમાં જાણવા મળ્યું કે, લૂંટારુઓ નંબર પ્લેટ વગરનાં તેમજ ચોરીનાં વાહનનો ઉપયોગ કરે છે. ગુનેગારોને રોકવા માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં નંબર પ્લેટ વગરનાં જે વાહનો રસ્તા પરથી પસાર થાય તેને ડીટેઇન કરવાનો નિર્ણય લીધો છે. શહેરની તમામ પોલીસ નંબર પ્લેટ વગરનાં વાહનોને ડીટેઇન કરીને મેમો આપી રહી છે.
શહેરમાં સીસીટીવી કેમેરાનું અભેદ કવચ હોવા છતાંય ધૂમ સ્ટાઇલથી ગઠિયાઓ આવે છે. લૂંટ, મોબાઇલ તેમજ ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે. સીસીટીવી સર્વેલન્સ અને ગુનાની મોડસ ઓપરેન્ડીના આધારે ક્રાઇમ બ્રાંચ તેમજ લોકલ પોલીસ ગુનાનો ભેદ ઉકેલી દેતાં હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓ એવા હોય છેકે જેનો ભેદ ઉકેલી શકાતો નથી. શહેરમાં લૂંટારુ બેફામ થયા છે જેને રોકવા માટે પોલીસ માઇક્રો લેવલનું પ્લાનિંગ કરી રહી છે. મોટાભાગની લૂંટ, ચેઇન સ્નેચિંગ તેમજ મોબાઇલ અને પર્સ સ્નેચિંગનો જ્યારે જ્યારે ભેદ ઉકેલાયો છે ત્યારે ચોંકાવનારો પર્દાફાશ થયો છે કે લૂંટારુઓ નંબર પ્લેટ વગરનાં અને ચોરીનાં વાહનોનો ઉપયોગ કરે છે.
અમદાવાદમાં હજારો વાહનો એવાં છે જેમાં ચાલકો નંબર પ્લેટ લગાવતા નથી. જેમાંથી કેટલાંક વાહનો તો ચોરીનાં હોય છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાત્સવે લૂંટ તેમજ ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓ કંટ્રોલમાં આવે તે માટે સ્પેશિયલ ડ્રાઇવનું ઓયજન કર્યું છે. જેમાં ક્યાંય પણ નંબર પ્લેટ વગરનાં વાહન દેખાય તો ચાલકનો ઊભો રાખવાનો અને બાદમાં તેની પૂછપરછ કરવાની છે. ટ્રાફિક પોલીસ પણ આ ડ્રાઇવમાં જોડાઇ છે જે અંતર્ગત ગઇ કાલે અખબારનગર સર્કલ પાસે બાઇક પર જઇ રહેલી બે વ્યકિતને રોકી હતી. બાઇકમાં નંબર પ્લેટ હતી નહીં અને ચાલક પાસે તેનાં ડોક્યુમેન્ટ તેમજ લાઈસન્સ પણ હતાં નહીં જેથી ટ્રાફિક પોલીસે મેમો આપીને બાઇક ડીટેઇન કર્યું હતું.
અમદાવાદમાં હજી પણ ખૂબ મોટા પ્રમાણમાં ટુ-વ્હીલર ચાલકો હેલમેટ નથી પહેરતા. આ સાથે ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાથી કોઈને અકસ્માત થાય તે રીતે વાહન ચલાવે છે. જેથી આ બાબતે હવે શહેરના મોટાભાગના વિસ્તારોમાં નિયમભંગ કરતાં ટુ -વ્હીલર ચાલકો વિરુધ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નમબર પ્લેટ વિનાના વાહનોના ચાલકો વિરુધ્ધ પણ ઝુંબેશ ચલાવામાં આવી રહી છે.
ડોક્યુમેન્ટ બતાવશે તો વાહન ડીટેઇન નહીં થાય
પોલીસના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે જો કોઇ વાહનમાં નંબર પ્લેટ નહીં હોય તો સ્થળ પરના પોલીસ કર્મચારીઓ તેની પૂછપરછ કરશે. ચાલક પાસે જો આરસી બુક, વાહનનાં ડોક્યુમેન્ટ હશે તો તેમને જવા દેવામાં આવશે અને નંબર પ્લેટ લગાવી દેવાની વોર્નિંગ આપવામાં આવશે અને જે ચાલક પાસે લાઈસન્સ, ડોક્યુમેન્ટ તેમજ આરસી બુક નહીં હોય તો વાહનને જમા લઇને તેને મેમો આપવામાં આવશે. અને જો વાહનચાલકની હરકત શંકાસ્પદ લાગશે તો તરત જ તેની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવશે.
ત્રણ મહિનામાં આંગડિયા પેઢીની સાડા ચાર કરોડની લૂંટ
લૂંટારુઓ ચિત્તાની ઝડપે બાઇક લઇને આવે છે અને ગણતરીની સેકંડોમાં આંગડિયા પેઢીના કર્મચારીઓની પાસે રહેલા લાખો કરોડો રૂપિયા ભરેલી બેગ દાગીના તેમજ રોક્ડ લઇને નાસી જવાના કિસ્સામાં વધારો થઇ રહ્યો છે. અખબારનગર સર્કલ પાસે થોડા દિવસ પહેલા થયેલી ૨૭ લાખ રૂપિયાના દાગીનાની થઇ હતી. લૂંટારુઓના ત્રાસથી આંગડિયા પેઢીના માલિકો તેમજ કર્મચારીઓ ચિંતામાં મુકાઇ ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદમાં સાડા ચાર કરોડના દાગીના તેમજ રોક્ડની લૂંટની ઘટના બની છે. જેના કારણે હવે આંગડિયા પેઢીના કર્મચારીઓ પોતાની જાતને અસરુક્ષિત માની રહ્યા છે. જમાલપુર, બાપુનગર, શાહપુર અને અખબારનગરમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવામાં આવ્યા હતા.