કોરોના વાઇરસને ઓળખી કાઢવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા દર્દીની મફતમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ, આરટીપીસીઆર ટેસ્ટ અને એચઆરસીટી ટેસ્ટ એમ થ્રી લેયરમાં ચકાસણી કરાઈ રહી છે, જેમાં એચઆરસીટી ટેસ્ટ એક પ્રકારે છાતીનો સિટી સ્કેન છે.
હાઈરિઝોલ્યુશન સિટી સ્કેન એટલે કે એચઆરસીટી ટેસ્ટનું રેડિયેશન અનેકગણું વધારે હોઈ તેનાથી દર્દીને લાંબા ગાળે કેન્સર થવાનું જોખમ હોવાની ચર્ચા ઊઠી છે. દરમિયાન મ્યુનિ. તંત્રના એચઆરસીટી ટેસ્ટની રોજની સંખ્યામાં અડધાેઅડધથી વધુ ઘટાડો નોંધાયો છે, કેમ કે તંત્રના ચોપડે સિમ્પ્ટોમેટિક દર્દીની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.
લાંબા સમયથી તંત્ર દ્વારા માત્ર ૧૦થી ૧૫ મિનિટમાં કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ આપનાર એન્ટિજન રેપિડ ટેસ્ટ પર ખાસ ભાર મુકાઈ રહ્યો છે. વધુ ને વધુ લોકોને કોરોનાના ટેસ્ટ હેઠળ આવરી લેવાનો સત્તાવાળાઓનો ટેસ્ટ ઇઝ બેસ્ટ અભિગમ લોકોએ વખાણ્યો છે, જોકે એન્ટિજન રેપિડ ટેસ્ટની વિશ્વસનીયતા સામે પ્રશ્ન ઊઠતા હોઈ કોરોનાનાં લક્ષણ ધરાવતા હોવા છતાં નેગેટિવ રિપોર્ટ આવનાર દર્દીનો મફતમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવાઈ રહ્યો છે.
પરંતુ ગત તા. ૨૪ જુલાઈથી સત્તાધીશોએ આ બે ટેસ્ટ ઉપરાંત એચઆરસીટી ટેસ્ટ ઉપર પણ પસંદગી ઉતારી છે. તે વખતે ત્રણ ખાનગી લેબ સાથે તંત્રની ભલામણ ધરાવતા દર્દીનો મફતમાં ટેસ્ટ કરાવી આપવાના કરાર કરાયા હતા. મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા કરારબદ્ધ ખાનગી લેબને પ્રત્યેક દર્દીદીઠ રૂ. ૧૪૦૦ ચૂકવાઈ રહ્યા છે, જોકે ખાનગી લેબમાં સ્વખર્ચે ટેસ્ટ કરાવવાનો ખર્ચ બમણો કે તેથી વધુ થાય છે.
હવે તો તંત્રના શહેરની ૨૫ ખાનગી લેબ સાથે એચઆરસીટી ટેસ્ટને મફતમાં કરાવવાના કરાર થયા છે. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરની ભલામણથી દર્દીનો ટેસ્ટ મફતમાં થતો હોવા છતાં અથ્યારે રોજના માંડ ૫૦થી ૬૦ ટેસ્ટ થાય છે, જ્યારે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રોજના ૧૨૦થી ૧૫૦ ટેસ્ટ થતા હતા.
છેલ્લા બે મહિનાથી એચઆરસીટી ટેસ્ટની સંખ્યામાં થયેલા ઘટાડા પાછળનું મુખ્ય કારણ કોરોનાની બદલાયેલી પેટર્ન છે. પહેલાં કોરોનાનાં તાવ, શરદી કે ખાંસી જેવાં લક્ષણ ધરાવતા એટલે કે સિમ્પ્ટોમેટિક દર્દીનું પ્રમાણ વધુ રહેતું હતું, પરંતુ હવે કોરોનાનું એક પણ લક્ષણ ન ધરાવતા એટલે કે એસિમ્પ્ટોમેટિક દર્દી વધ્યા છે. પહેલાં કોરોનાના દર્દીને લક્ષણના આધારે હોસ્પિટલમાં દાખલ કરાતા હતા, પરંતુ વર્તમાન સંજોગોમાં એસિમ્પ્ટોમેટિક દર્દી વધુ હોઈ તેમને હોમ આઇસોલેશન કરવા પર વધુ ભાર મુકાઈ રહ્યો છે.
જોકે કોરોના મહામારીના કાળમાં અનેક લોકો ગભરાટના માર્યા સીધેસીધા એચઆરસીટી ટેસ્ટ કરાવવા નજીકની ખાનગી લેબમાં દોડી જાય છે, જેનાથી દર્દી મોટા ખર્ચના ખાડામાં તો ધકેલાઈ જાય છે, પરંતુ તેના ઘાતક રેડિયેશનથી લાંબા ગાળે કેન્સર જેવા ઘાતક રોગનો ભોગ બને છે.
આ અંગે મ્યુનિ. આસિ. હેલ્થ ઓફિસર ડો. સંકેત પટેલ પણ નાગરિકોને ચેતવે છે. તેઓ કહે છે, ''કોરોનાનાં લક્ષણ ધરાવતા દર્દીએ પણ કારણ વગર એચઆરસીટી ટેસ્ટ કરાવવા દોડી ન જવું, કેમ કે આમાં રેડિયેશનનું પ્રમાણ સામાન્ય એક્સ-રે કરતાં અનેકગણું વધારે છે એટલે જો કોરોનાનાં વધારે લક્ષણ હોય તેવા સંજોગોમાં પાંચથી સાત દિવસ બાદ જ એચઆરસીટી ટેસ્ટ કરાવવાનું દર્દીના આરોગ્ય માટે વધુ હિતાવહ રહેશે.''