કોરોનાની મહામારીના કારણે લોકડાઉન આવ્યું અને સોશિયલ ડિસ્ટન્સની જવાબદારી નાગરિકો પર છે. ત્યારે અમદાવાદમાં લોકડાઉનના ભંગની ઘટના સામે આવી છે. શિવરંજની પાસે શોરૂમ ધરાવતા જાણીતા ઝવેરીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ધરપકડ બાદ જામીન પર છોડી દેવાયા હતા. જાણો શું છે સમગ્ર ઘટના...
લોકડાઉનના ભંગ બદલ અમદાવાદમાં કાર્યવાહી
ઝવેરીએ મંજૂરી વિના ઘરે 10 લોકોને બોલાવ્યા હતા
સીમંત વિધિ ચાલતી હોવાની મળી છે માહિતી
રાજ્યમાં લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકો પોતાના સામાજિક અને આર્થિક બન્ને કાર્યક્રમો રદ્દ કરી રહ્યા છે. તેવામાં કેટલીક જગ્યાઓ પર આ પ્રકારના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે. લૉકડાઉનમાં ઝવેરીએ પોતાની પત્નીની સીમંત વિધિ માટે રવિવારે 10 લોકોને પોલીસ મંજૂરી વિના ઘરે બોલાવ્યાં હતાં. ઝવેરીની જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, તેમના ઘરે સીમંત વિધિ ચાલતી હોવાની કોઈએ જાણ કરતા સેટેલાઇટ પોલીસ દ્વારા ઝવેરીના ઘરે પહોંચીને કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે તેમણે આ માટે પરવાનગી ન લીધી હોવાથી તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ નવસારીના ચીખલીના વકાલ ગામમાં દંપતિને લગ્ન કરવા ભારે પડ્યા હતા. ત્યારે લોકડાઉનમાં લગ્નનું આયોજન કરનાર 14 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. દંપતિ અને લગ્ન કરાવનાર બ્રાહ્મણ તેમજ જાનૈયાઓની પોલીસે અટકાયત કરી હતી અને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી હતી.