અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લાંબી લાઈનમાં ઊભા રહેવામાંથી રાહત મળે તેવી વ્યવસ્થા ટૂંક સમયમાં ગોઠવાઈ રહી છે. સિવિલ હોસ્પિટલમાં લાંબી લાઈનો અને તેનાથી દર્દીને થતી હાડમારીમાંથી છુટકારો મેળવવા માટે સરકાર દ્વારા ટ્રાયાજન સિસ્ટમ અમલી બનાવવાનો નિર્ણય લેવાયો છે.
આ સિસ્ટમ અન્વયે દર્દી ઈલાજ માટે ઓપીડીમાં ઈલાજ માટે કેસ પેપરની બારીમાંથી કેસ કઢાવશે કે, તરત જ નર્સિંગ સટાફ દ્વારા તેના કેસ પેપરની ચકાસણી કરવામાં આવશે અને સ્ટાફ દ્વારા જ દર્દીની તકલીફ અંગેની પૂછપરછ કરવામાં આવશે અને દર્દીને જે તે વિભાગમાં જવાની સૂચના આપવામાં આવશે.
ત્યારબાદ દર્દી ડોક્ટર સુધી પહોંચે તે પહેલા પ્રીલિમનરી એઝામિનેશન દ્વારા દર્દીનું બ્લડ પ્રેશર, વજન, પલ્સ,અને તકલીફ અંગેની વિગતો કેસ પેપરમાં લખી આપવામાં આવશે. જેના કારણે ઝડપભેર દર્દીનું નિદાન ડોક્ટર દ્વારા થઈ જશે અને અન્ય દર્દીઓ કે જે ડોક્ટરની દવા કે નિદાન માટે ઊભા હશે તેનો વારો પણ ઝડપભેર આવશે. દર્દીઓ લાઈનમાં બેઠા હશે ત્યાં જ તેનો કેસ જરૂરી વિગતો સાથે રીફર કરી દેવાશે એટલું જ નહીં કેન્દ્ર સરકારના મેરા અસ્પતાલ હેઠળ તમામ દર્દીની નોંધ કરવામાં આવશે અને દર્દીની સારવાર પૂર્ણ થયેથી દર્દીને નવી સુવિધા અંગેના અનુભવ વિશે ફિડબેક પૂછવામાં આવશે.
નવી સિસ્ટમ મુજબ સૌ પ્રથમ દર્દી કેસ કઢાવશે અને ઓપીડીમાં જશે, બારી પાસે અથવા ઓપીડીમાં દર્દી પાસે જશે. દર્દીની ઉંચાઈ, વજન, પલ્સ, બીપી અને કી તકલીફ છે તે માહિતી સાથે જે તે ડોક્ટર પાસે મોકલશે,અને મા કાર્ડ કે આયુષ્ય્માન કાર્ડ દર્દી પાસે છે કે કેમ તેની પણ નોંધ કરશે. સામાન્ય રીતે આ સિસ્ટમ ખાનગી હોસ્પિટલોમાં કે દવાખાનાઓમાં કાર્યરત છે જેના કારણે દર્દી અને ડોક્ટર બંનેનો સમય બચે છે. જયારે સિવિલની ઓપીડીમાં કલાકો સુધી દર્દીનો ઈલાજ માટે ભીડના કારણે વારો આવતો નથી કેટલાક દર્દીને ક્યાં ડોકટર કે વિભાગમાં જવું તેની પણ સમજ નહીં હોવાના કારણે સારવારમાં વધુ વિલંબ થાય છે.
હવે પ્રાથમિક તપાસમાં જ દર્દીની સ્થિતિ ગંભીર હશે તો તેને અગ્રતા ક્રમ અપાશે અને બેસવાની જગ્યા મળવાના કારણે દર્દીઓ હડધૂત થતા અટકશે આ અંગે સરકારના આરોગ્યવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ પ્રાયોગિક ધોરણે ટૂંક સમયમાં સૌપ્રથમ અમદાવાદ,રાજકોટ અને સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ થશે ત્યારબાદ ક્રમશઃ અન્ય જિલ્લાઓમાં શરૂ કરાશે. જેમાં ટ્રેઈની નર્સિંગ સ્ટાફની સેવા લેવાશે.