ગુજરાતમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે અમદાવાદ મનપાએ ખાનગી હોસ્પિટલમાં સારવારને લઇને મોટો નિર્ણય કર્યો છે. તંત્રએ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કરી લીધા છે. ખાનગી હોસ્પિટલો બેફામ લાખોના પેકેજથી કોરોનાની દવા કરીને દર્દીઓને લૂંટી ન શકે આ માટે હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે અને નવી રૂપરેખા સાથે ખાનગી હોસ્પિટલો સાથે હાથ મિલાવીને 50:50ના આધારે ભાવ નક્કી કર્યા છે. એટલે કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં 50 ટકા બેડ સરકારી રહેશે જેનો ખર્ચ સરકાર ભોગવશે, જ્યારે અન્ય 50 ટકા બેડ ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા ભાવ મુજબ વસૂલી શકશે. મહત્વનું છે કે એક દિવસ અગાઉ ગુજરાત હાઈકાર્ટે કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ્સ બેફામ ફી નહીં વસૂલી શકે તેવો નિર્ણય આપ્યો હતો.
AMCએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના મહત્તમ ભાવ નક્કી કર્યા
50 ટકા બેડ સરકારી હશે જેનો ખર્ચ અમદાવાદ મનપા ચૂકવશે
હાઈકોર્ટે બેફામ ફી વસૂલતી હોસ્પિટલ સામે કરી હતી લાલ આંખ
ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે જેમાં ખાસ કરીને અમદાવાદમાં 70 ટકાથી વધુ કેસો જોવા મળ્યાં છે. આવામાં કોરોના સંકટની જવાબદારી ACS ડો. રાજીવ ગુપ્તાને સોંપાયા બાદ એક પછી એક નિર્ણયો અને ગાઈડલાઈન બહાર આવી રહ્યા છે. માનવામાં આવે છે કે તેઓ સીધા કેન્દ્રના સંપર્કમાં હોવાથી નિર્ણય પણ ત્વરિત લઈ શકે છે. ત્યારે અગાઉ AMC દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી કે કૉવિડ-19ના દર્દીઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકશે જેનો ખર્ચ અમદાવાદ મનપા ભોગવશે. આ જ સંદર્ભે AMCએ ખાનગી હોસ્પિટલ્સ સાથે 50:50ના આધારે ભાવ નક્કી કર્યા છે. એટલે કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં 50 ટકા બેડ સરકારી રહેશે જેનો ખર્ચ સરકાર ભોગવશે, જ્યારે અન્ય 50 ટકા બેડ ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા ભાવ મુજબ વસૂલી શકશે.
બેફામ ફી વસૂલતી ખાનગી હોસ્પિટલ્સ પર નિયંત્રણ
ગુજરાતમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં સારવારને લઇને મોટો નિર્ણય કર્યો છે. સરકારે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કરી લીધા છે. ખાનગી હોસ્પિટલો બેફામ લાખોના પેકેજથી કોરોનાની દવા કરીને દર્દીઓને લૂંટી ન શકે આ માટે હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે અને નવી રૂપરેખા સાથે ખાનગી હોસ્પિટલો સાથે હાથ મિલાવીને 50:50ના આધારે ભાવ નક્કી કર્યા છે. એટલે કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં 50 ટકા પથારી સરકારી રહેશે અને તેની ફી પણ સરકારી ધારાધોરણ મુજબ વસૂલાશે.
નક્કી કરાયેલા ભાવ
બેડ
સરકારી બેડ માટે ફી
ખાનગી બેડ માટે મહત્તમ ફી
વોર્ડ
4500
10,000
HDU
6750
14000
આઈસોલેશન + ICU
9000
19000
વેન્ટિલેશન + આઈસોલેશન + ICU
11250
23000
* સરકારી બેડનો ખર્ચ સરકારી તંત્ર ચૂકવશે
શું છે શરતો?
જોકે આ નક્કી કરેલ ફીમાં ડાયાલિસીસની કિંમત ઉમેરાશે નહીં, એક વખત ડાયાલિસીસ માટે 1650 Rs.ચૂકવવાના રહેશે
આ સિવાય આ નક્કી કરેલ ફીમાં Tocilizumab દવા, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની વિઝીટ, સ્પેશિયલિસ્ટ લેબ ટેસ્ટ ની ફી સામેલ કરવામાં આવેલ નથી.
ઉપર નક્કી કરવામાં આવેલ ફીમાં બે ટાઈમનું ભોજન, સવાર-સાંજની ચા અને નાસ્તો મળશે
હાઈકોર્ટના આદેશ બાદ એક્શનમાં તંત્ર
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે કોરોનાના દર્દીઓની સારવાર માટે બેફામ નાણા ઉઘરાવતી ખાનગી હોસ્પિટલો હવેથી લાખો રૂપિયાની ઉઘરાણી દર્દીઓ પાસેથી નહીં કરી શકે. આ સાથે હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે, રાજ્ય સરકાર ખાનગી હોસ્પિટલો માટે વ્યાજબી ફી નિર્ધારિત કરે. હાઈકોર્ટે ખાનગી હોસ્પિટલને ચેતવતા કહ્યું કે ખાનગી હોસ્પિટલ નફો કમાવવાની વૃત્તિ રાખશે તો લાયસન્સ રદ્દ કરવામાં આવશે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈ શું કહે છે?
આ સંદર્ભે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ જણાવ્યું હતુ કે, હાલ જે ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે તે યોગ્ય છે. જો કે તેમાં ડાયાલિસિસનો ચાર્જ ઉમેરાયેલો નથી. કારણ કે ડાયાલિસિસ એ પહેલેથી કિડની ખરાબ હોય તો જ થતુ હોય છે. ડાયાલિસિસનો ચાર્જ 1650 રૂ. એકસ્ટ્રા છે. જે આ નક્કી કરેલા ભાવમાં નથી. તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસના સારવાર હાલ લક્ષણો આધારિત થાય છે. કોઈ સ્વસ્થ છે તેને માત્ર સામાન્ય શરદી છે કે નાકમાં પ્રોબલેમ છે કે એવું કોઈ સામાન્ય લક્ષણ છે. તો તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. 3 દિવસ સુધીમાં તેનામાં કોરોનાના કેવા લક્ષણો ડેવલોપ થાય છે તેનો આધારે તેની આગામી સારવાર નક્કી થાય છે. એટલે આવા દર્દીઓની ઈમ્યુનીટી સિસ્ટમને આધારે જ તેની રિકવરી નક્કી થાય છે.
હજુ માઈક્રો ગાઈડલાઈન આવશે બહાર: ડો. મેહૂલ શાહ
ડો. મેહૂલ શાહ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રેસિડેન્ટ ના જણાવ્યા અનુસાર. આ જે પગલું ભરવામાં આવ્યું છે તે દર્દીઓ અને ખાનગી હોસ્પિટલો માટે સરહાનીય છે. ડાયાલિસિસના ખર્ચની વાત કરીએ તો એ ખર્ચ અલગથી વસૂલવામાં આવશે. તેનો કોવિડ 19ની સારવારમાં સામેલ નથી. જ્યારે 'મા' કાર્ડની વાત કરીએ તો એ અંગે હજુ સરકાર માઈક્રો ગાઈડલાઈન બહાર પાડશે અને એ મુજબ જ ચાર્જ વસૂલવામાં આવશે. આ એક આવકારદાયક પગલું છે. જે દર્દીઓ ખરેખર કોમોર્બિડ છે અથવા તો સિમ્ટોમેટીક છે તેમણે જ હોસ્પિટલાઈઝ થવાની જરૂર છે બાકી હોસ્પિટલમાં ભારણ વધારવાથી આપણી હેલ્થ સિસ્ટમ ખોરવાઈ શકે છે. એટલે અગર તમે કોરોના પોઝિટિવ હોવ અને તમે હોમ આઈસોલેટ થઈ શકતા હોવ તો તમે હોસ્પિટલ ન જાઓ એ જ હિતાવહ છે.