અમદાવાદ મનપા માટે કોંગ્રેસે જાહેર કરેલ પહેલી યાદીમાં મોટા ભાગના નવા અને શિક્ષિત ચહેરાઓને સ્થાન અપાયું છે. કોંગ્રેસે પહેલાથી જ જાહેર કર્યું હતું કે તેઓ મોટાભાગના યુવા અને શિક્ષિત લોકોનો સમાવેશ કરશે.
અમદાવાદ મનપા માટે કોંગ્રેસે ઉમેદવારોની યાદી કરી જાહેર
મોટા ભાગના નવા અને શિક્ષિત ચહેરાઓને સ્થાન અપાયું
આર્કિટેક્ટ અને બિઝનેસ વુમન સહિતના પ્રોફેશનલ્સને ટિકિટ આપી
અમદાવાદ મહાનગરપાલિકા માટે કોંગ્રેસના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થયું. જેમાં કોંગ્રેસે રિપીટ થિયરી અપનાવતા કુલ 38 ઉમેદવારો પૈકી 34 નવા ઉમેદવારોને ટિકિટ અપાઈ, જ્યારે માત્ર ચાર જ લોકોને ફરીવાર ટિકિટ આપવામાં આવી છે. 38 ઉમેદવાર પૈકી 18 એસસી-ઓબીસી, 11 પટેલ, 4 વણિક, 2 સોની, 1 બ્રાહ્મણ તથા 1 ક્ષત્રિય સમાજના, જ્યારે 38માંથી 80 ટકા ઉમેદવાર 35થી 45 વયજૂથની પસંદગી કરાઈ છે. એમાં પણ એવા લોકોને વધારે પસંદ કરાયા છે, જેઓ શિક્ષિત હોય. થલતેજ વોર્ડમાંથી પસંદ કરાયેલ દર્શીલ ગઢવી આર્કિટેકચર છે. જેઓ પૂર્વે NSUI સાથે સંકળાયેલા હતા. હવે ભાજપના ગઢ સમાન થલતેજમાં કોંગ્રેસના ઉમેદવાર છે.
આવા જ એક ઉમેદવાર નવરંગપુરા વોર્ડ માટે કોંગ્રેસે પસંદ કર્યા છે, જેઓએ બીસીએનો અભ્યાસ કર્યો છે અને હાલ બિઝનેસ વુમન છે. બાગેશ્રી ગાંધીને યુવા અને શિક્ષિત ચહેરા તરીકે કોંગ્રેસે પસંદ કર્યો છે, ત્યારે તેમને વિશ્વાસ છે કે તેઓ કોંગ્રેસની વિચારધારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકશે.
મોટાભાગના યુવા ચહેરાઓને સ્થાન આપવા અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલે તો દાવો કર્યો કે આ વખતે પાર્ટી 60 પ્લસનાને ટિકિટ આપવાનો પ્લાન નથી અને મોટાભાગના યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. જેમાં શિક્ષણને પણ ધ્યાને લેવાશે.
કોંગ્રેસ એક જૂની ઘરેડને વળેલી પાર્ટી તરીકે જોવામાં આવે છે, ત્યારે નવા અને શિક્ષિત ચહેરાઓને સ્થાન આપી કોંગ્રેસ નવા મતદાતાઓને સાથે જોડવા પ્રયાસ કરતી જોવા મળી રહી છે.
ગઇકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે અમદાવાદ શહેરના પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી કોંગ્રેસે અમદાવાદ શહેરના ગોતા, ચાંદલોડિયા, રાણીપ, નવા વાડજ, ઘાટલોડિયા, થલતેજ, નારણપુરા, નરોડા, નવરંગપુરા અને વાસણા વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ કોંગ્રેસે અત્યાર કુલ 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.