બીઆરટીએસ કોરિડોરમાં થઇને છે ડિસેમ્બર-2014થી એએમટીએસની કુલ 41 રૂટની કુલ 321 બસ દોડે છે. આ તમામ બસને બીઆરટીએસ કોરિડોરની બહાર દોડાવવાની કમિશનર વિજય નહેરાએ એએમટીએસ સત્તાવાળાઓને તાકીદ કરી છે. જોકે ટ્રાફિકના સર્વે બાદ એએમટીએસ બસને બીઆરટીએસ કોરિડોર બહાર દોડાવાશે.
બીઆરટીએસ કોરિડોરમાં દોડી રહી છે AMTS
41 રૂટની કુલ 321 બસો દોડી રહી છે
આમ તો એએમટીએસ બસને બીઆરટીએસ રૂટને સમાંતર દોડાવવાના મામલે પણ કમિશનર વિજય નહેરાએ લાલ આંખ કરી હતી. બીઆરટીએસ રૂટને સમાંતર એએમટીએસ બસને મ્યુનિસિપલ સત્તાવાળાઓ હટાવવા માગતા હતા. પરંતુ એએમટીએસના ચેરમેન અતુલ ભાવસારે આ મામલે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.
ચેરમેનના આક્ષેપ બાદ મચી ગયો ખળભળાટ
મ્યુનિ. તંત્ર BRTS રૂટને સમાંતર એએમટીએસ બસ હટાવીને બીઆરટીએસ બસનો વકરો વધારવા માગે છે તેવો ખુલ્લો આક્ષેપ ચેરમેન ભાવસારે કરતાં ખળભળાટ મચી ગયો હતો. એએમટીએસના ભાજપના સત્તાધીશોએ તે વખતે મ્યુનિ. સત્તાવાળાઓના આદેશને ફગાવી દેતા આજે પણ બીઆરટીએસ રૂટને સમાંતર એએમટીએસ બસ દોડી રહી છે.
41 બસો દોડી રહી છે કોરિડોરની બહાર
બીજી તરફ એએમટીએસના સત્તાવાળાઓ માત્ર શિવરંજની ચાર રસ્તાથી બોપલ-ઘુમા કોરિડોરમાં દોડતી 41 બસને બીઆરટીએસ કોરિડોર બહાર દોડાવી રહ્યા છે. 7 ડિસેમ્બરથી એએમટીએસના સત્તાવાળાઓ રૂટ નં. 48, 49 શટલ, 50, 139-1, 151 અને 151-3 એમ કુલ છ રૂટની 41 બસને જનરલ ટ્રાફિકમાં દોડાવી રહ્યા છે. તાજેતરમાં એએમટીએસ બસને બીઆરટીએસ કોરિડોરમાં હટાવવાના મામલે એએમટીએસના શાસકો, મ્યુનિ. વહીવટીતંત્ર, ટ્રાફિક વિભાગ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ટ્રાફિકના સર્વે બાદ ક્યા રૂટની કેટલી એએમટીએસ બસને બીઆરટીએસ કોરિડોર બહાર દોડાવવી તે અંગે નિર્ણય લેવાશે.