અમદાવાદ: કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોએ હાર્દિક પટેલના ઘરે બેઠક કરી હતી જેમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોએ આંદોલનને સમર્થન જાહેર કર્યું છે.
આ બેઠકમાં આંદોલનની રણનીતિ અને પરવાનગી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ લલિત વસોયાએ આરોપ લગાવ્યો હતો કે સરકાર હાર્દિકના આંદોલનથી ડરે છે. હાર્દિક સમાજ માટે આંદોલન ચલાવી રહ્યો છે તેથી તેની ખેડૂતોના દેવા માફી અને અનામતની માગને સમર્થન આપીએ છીએ.
આપને જણાવી દઇએ કે પાટીદાર અગ્રણી અને પાસ આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે તાજેતરમાં ફરીએકવાર આંદોલનના નામે સરકાર સામે બાંયો ચઢાવી છે. આગામી 25 તારીખના રોજ તેઓ આમરણાંત ઉપવાસ પર બેસવાના છે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ત્યારે આજરોજ હાર્દિક પટેલના નિવાસ સ્થાને એક ખાસ બેઠક યોજાઇ હતી જેમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્ય ખાસ હાજર રહ્યા હતા અને કેટલાક વિષયો પર વાતચીત પણ કરી હતી.