અમદાવાદમાં વિપક્ષી નેતા સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. આ મામલે કોંગ્રેસમાં થોડા સમયથી કકળાટ શરૂ થયો છે. ત્યાર વિપક્ષના નેતાને બદલવાની માંગ સાથે કોંગ્રેસ કોર્પોરેટર પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પાસે પહોંચ્યા હતા. સિનિયર કોર્પોરેટર કમળાબેન ચાવડા , રાજશ્રી કેસરી , ઇકબાલ સેખ , તસલીમ ત્રીમિઝી, માધુરી બેન, હાજી મિર્ઝા સહિતનાઓએ આ મામલે જગદીશ ઠાકોરને રજુઆત કરી હતી.
10 કોર્પોરેટરો વચ્ચે મળી હતી ખાનગી બેઠક
AMCના વિપક્ષ નેતાને લઈ કોર્પોરેટરમાં વિરોધ ભભૂકી રહ્યો છે. AMC વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની એક વર્ષની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે આથી ગઈકાલે 10 કોર્પોરેટરો વચ્ચે ખાનગી બેઠક મળી હતી. જેમાં એક એક વર્ષ સિનિયર કોર્પોરેટરને તક આપવા ફોર્મ્યુલા નક્કી કરી હતી. જેનું પાલન કરવા સિનિયર નેતાઓ એક સુર થયા હતા. આથી વિપક્ષ નેતા બદલવા અંગે જગદીશ ઠાકોર સમક્ષ રજુઆત કરાઈ હતી. મહત્વનું છે કે ગઈકાલે વિપક્ષ નેતાની ટર્મ પૂર્ણ થઈ છે.
તાજેતરમાં જામનગરના વિપક્ષી નેતા બદલાયા
ગઈકાલે રાજશ્રી કેસરી, નીરવ બક્ષી, હાજી મિર્ઝા સહિતના કોર્પોરેટરોએ મિટિંગ કરી હતી.જેમાં ઉચ્ચકક્ષાએ રજુઆત અંગે નક્કી કરાયા બાદ આજે મામલો જગદીશ ઠાકોર સુધી પહોંચ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જામનગરમાં કોંગ્રેસ વિપક્ષ નેતા બદલાયા છે. જેમાં આનંદભાઈના સ્થાને હવે ધવલ નંદાને વિપક્ષી નેતા બનાવાયા છે.ત્યારે અમદાવાદમાં પણ વિપક્ષ નેતા બદલવાની માગ ઉઠી છે.