વરિષ્ઠ નાગરિકોનું આધારકાર્ડ વિના પણ વેક્સિનેશન કરાશે
સરવેમાં ૫૦ વર્ષ અને તેની ઉપરના તમામ લોકોને આવરી લેવાયા
ગત મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના વેક્સિનેશનના મામલે મોટો નિર્ણય લેવાયો હતો, જે મુજબ આગામી તા. ૧ એપ્રિલથી વેક્સિનેશનની ૬૦ વર્ષની વયમર્યાદા ઘટાડીને ૪૫ વર્ષની કરાઈ છે એટલે હવે ૪૫ વર્ષના તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન અપાશે. કોરોના વકરી રહ્યો હોઈ વેક્સિનેશનની ઝડપ વધારવાના આશયથી વયમર્યાદા ઘટાડી દેવાઈ છે. ઉપરાંત તા. ૧ એપ્રિલથી તમામ ફ્રન્ટલાઇન વોરિયર્સ અને હેલ્થ વર્કર્સને ૪૫ વર્ષની ઉંમરના બાધ વગર વેક્સિનેશન કરાશે તેવી વિગત જાણવા મળી છે.
સરવેમાં ૫૦ વર્ષ અને તેની ઉપરના તમામ લોકોને આવરી લેવાયા
અગાઉ તા. ૧ માર્ચથી શહેરમાં ૬૦ વર્ષ કે તેથી ઉપરના સિનિયર સિટીઝન અને ૪૫થી ૫૯ વર્ષના કોમોર્બિડ કન્ડિશન ધરાવતા નાગરિકોને કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ આપવાની કામગીરીનો પ્રારંભ કરાયો હતો. પહેલાં તો તંત્રના સરવેમાં ૫૦ વર્ષ અને તેની ઉપરના તમામ લોકોને આવરી લેવાયા હતા. તંત્રના સિનિયર સિટીઝનના સરવે મુજબ સાત લાખથી વધુ સિનિયર સિટીઝનની યાદી તૈયારી કરાઈ હતી. તે દિવસથી મ્યુનિ. સત્તાવાળાઓએ દૈનિક ૩૦ હજાર લોકોનું વેક્સિનેશન કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. તેમ છતાં ૫૦ ટકા ટાર્ગેટ પણ પૂરો થતો ન હોઈ વેક્સિનની અછતની ચર્ચા ઊઠી હતી.
જોકે અત્યાર સુધીમાં ૧.૭૦ લાખથી વધુ સિનિયર સિટીઝનને વેક્સિન અપાઈ ચૂકી છે. ગઈ કાલે તો ૧૩,૨૫૦ પુરુષ અને ૧૧,૮૪૯ સ્ત્રી મળીને કુલ ૨૫,૦૯૯ નાગરિકોનું વેક્સિનેશન થતાં સત્તાવાળાઓએ પણ હાશકારો અનુભવ્યો હતો. હવે તા. ૩૧ માર્ચથી સિનિયર સિટીઝનને વેક્સિનનો બીજો ડોઝ અપાશે. ગઈ કાલે ૫,૮૪૬ પુરષ અને ૪૮૨૭ સ્ત્રી મળીને કુલ ૧૦.૬૭૩ ફ્રન્ટલાઇન વર્કર તેમજ ૬૮૩ પુરુષ અને ૭૫૬ સ્ત્રી મળીને કુલ ૧૪૩૯ હેલ્થ વર્કરને વેક્સિન અપાઈ હતી.
૪૫ વર્ષની ઉંમરના બાધ વગર વેક્સિન અપાશે
જોકે વેક્સિનેશનને વધુ ઝડપભેર હાથ ધરવા લોકો સાથે સંપર્કમાં આવતા બેન્ક, રેલવે, પોસ્ટ, એરપોર્ટ, એલઆઇસી, મેડિકલ સ્ટોર્સ, એરપોર્ટ તેમજ સરકારી અને ખાનગી સ્કૂલના શિક્ષકો વગેરેને ૪૫ વર્ષની ઉંમરના બાધ વગર વેક્સિન અપાશે, જેમાં મ્યુનિ. તંત્રનો ટેક્સ વિભાગ, એસ્ટેટ વિભાગ, ઈજનેર વિભાગનો સ્ટાફ પણ લોકોના સીધા સંપર્કમાં આવતા હોઈ તેમની પણ ગણતરી ફ્રન્ટલાઇન વોરિયર્સમાં કરાઈ છે. આ મ્યુનિ. કર્મચારીઓ અને અધિકારીઓ પણ વેક્સિનેશન કરાવી શકશે.
હેલ્થ વર્ક્સ માટે વેક્સિન લેવા ૪૫ વર્ષની ઉમર નડશે નહીં
આની સાથે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિતનો પેરામેડિકલ સ્ટાફ વગેરે હેલ્થ વર્કર્સની શ્રેણીમાં આવતા હોઈ તેઓ લોકોના સીધા સંપર્કમાં કાયમ આવતા હોય છે. આવા હેલ્થ વર્ક્સનું ફટાફટ વેક્સિનેશન કરીને તેમનામાં કોરોના સામે લડત આપવા હર્ડ ઇમ્યુનિટી વિકસિત કરવા પર તંત્ર ખાસ ભાર મૂકી રહ્યું છે. એટલે હેલ્થ વર્ક્સ માટે વેક્સિન લેવા ૪૫ વર્ષની ઉમર નડશે નહીં.
વરિષ્ઠ નાગરિકોનું આધારકાર્ડ વિના પણ વેક્સિનેશન કરાશે
ઉપરાંત નિરાધાર, વંચિતો, વયસ્કોને આધારકાર્ડના પુરાવા વિના વેક્સિનેશન સાથે આવરી લેવાશે. ભિક્ષુકગૃહો, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં વસવાટ કરતા ૪૫થી ૬૦ વર્ષના ગંભીર બીમારીથી પીડાતા અને ૬૦થી વધુ વયના વરિષ્ઠ નાગરિકોનું આધારકાર્ડ વિના પણ વેક્સિનેશન કરાશે.
૧૮ વર્ષથી ઉપરના તમામને વેક્સિનેશનનો લાભ આપવા લોકોની માગણી
જોકે લોકોમાં ઝડપભેર હર્ડ ઇમ્યુનિટી વિકસિત કરવા માટે ૪૫ વર્ષના બદલે ૧૮ વર્ષથી ઉપરના તમામને વેક્સિનેશનનો લાભ આપવા લોકોની માગણી અને લાગણી દિવસે દિવસે વધુ તીવ્ર બનતી જાય છે. યુવાઓ પણ તેમને વેક્સિન મળે તે માટે ખાસ્સા ઉત્સુક બન્યા છે. વેક્સિનેશનથી કોઈ પણ ખાસ ગંભીર આડઅસર થતી નથી તેવું પુરવાર થતા યુવા વર્ગમાં પણ વેક્સિનેશનનો થનગનાટ જોવા મળી રહ્યો છે. જોકે તા. ૧ મેથી તા. ૩૧ મેની કોરોનાની નવી ગાઇડલાઇનમાં કેન્દ્ર વેક્સિનેશનમાં ઓપન ફોર ઓલ કરી નાખે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.
દરમિયાન, આઇઆઇએમ બાદ આઇઆઇટી- ગાંધીનગરના ૨૫ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. કેટલાક વિદ્યાર્થી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્રિકટ મેચ જોવા જતાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જીટીયુ કેમ્પસમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠને પણ કોરોના થયો છે. તેમની સાથે બે પ્રોફેસર સહિત ત્રણ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થવાથી જીટીયુએમાં કોરોનાના છ કેસ મળી આવ્યા છે.