અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દિપન ભદ્રનની રાતોરાત જામનગર SP તરીકે બદલી કરાતા રાજ્યના પોલીસ બેડામાં ખભળભાટ મચી ગયો છે. મહત્વનું છે કે જામનગરના SP શ્વેતા શ્રીમાળીને હટાવીને ત્યાં જ SRP ગ્રુપ 17માં મૂકાયા છે. ત્યારે આ મહત્વની બદલી પર VTVGujarati.comને તેની ઈન્સાઈડ સ્ટોરી મળી રહી છે.
DCP દિપન ભદ્રનની રાતોરાત જામનગર SP તરીકે બદલી
પોલીસ બેડામાં ખભળભાટ
આજે રાજ્યના ત્રણ IPS અધિકારીઓની અચનાક બદલી થતાં પોલીસ બેડામાં આ બદલીઓ ચર્ચાનો વિષય બની ગયો છે. અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાન્ચના મહત્વના DCP પદેથી દિપન ભદ્રનને જામનગર સુપરિટેન્ડન્ડ પોલીસ (SP) મૂકાયા છે. મહત્વનું છે કે શ્વેતા શ્રીમાળીની ગત મહિને જ જામનગર SP તરીકે નિમણૂક થઈ હતી ત્યારે ટૂંક સમયમાં જ તેમની બદલી કરાવી દેતાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યાં છે. જો કે VTVGujarati.comને અંદરના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે દિપન ભદ્રનને જામનગર ખાતે મૂકવાનો આદેશ દિલ્હી દરબારથી આવ્યો છે. મહત્વનું છે કે દિપન ભદ્રનની છબી માફિયારાજને ડામનારા તેમ જ કડક હાથે કામ લેતા પોલીસ અધિકારી તરીકેની રહી છે. ઉલ્લેખનીય છે કે રેપ કાંડમાં તોડબાજ કરવાના આરોપમાં PSI શ્વેતા જાડેજાને પણ તેમણે સસ્પેન્ડ કરી દીધાં હતાં.
જામનગરમાં માફિયારાજને ડામવા દિલ્હીથી આદેશ
ગુજરાતમાં જમીન માફિયાઓની વાત આવે ત્યારે જામનગરમાં જયેશ પટેલ અને જસપાલસિંહનું નામ ન આવે તેવું બને નહીં. ઉલ્લેખનીય છે કે જયેશ પટેલનું નામ બીટકોઈન કૌભાંડમાં પણ સંડોવાયેલું છે. જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યામાં પણ જયેશ પટેલની સંડોવણીના આરોપ લાગી ચૂક્યાં છે. જ્યારે બીજી બાજુ આંતરાષ્ટ્રીય માફિયા ગેંગ સાથે પણ તેના કનેક્શન છે તે જગજાહેર છે. આવામાં હજુ સુધી ગુજરાત સરકાર જયેશ પટેલ જેવા રીઢા ગુનેગારને શોધવામાં નિષ્ફ્ળ ગઈ છે. ત્યારે માનવામાં આવે છે કે જયેશ પટેલના માફિયારાજને ડામવા માટે દિલ્હીના આદેશ પર અમદાવાદના સિનિયર IPS અધિકારીને જામનગર ખાતે મૂકવામાં આવ્યાં છે.
જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની હાલત કફોડી
મહત્વનું છે કે છેલ્લાં કેટલાંક સમયથી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લો ઍન્ડ ઑર્ડરની કથળતી સ્થિતિ અવાન નવાર સમાચારની હેડલાઈન્સ બનતી રહી છે. જે હવે રાજ્ય સરકારથી ઉપર કેન્દ્ર સરકારની પણ આંખે ઉડીને વળગી છે. જામનગરમાં ખાસ કરીને જમીન માફિયાઓનું કદ ઘણું વધ્યું છે જેને કાપવા માટે હવે કેન્દ્રએ કમર કસી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં સમયથી જમીન પચાવવી, મર્ડર અને બુટલેગરો સાથે સાંઠગાંઠની ઘટનાઓનું પ્રમાણ વધતાં જામનગરમાં ક્રાઈમનો ગ્રાફ ઘણો ઊંચો જઈ રહ્યો છે. નોંધનીય છે કે રાજ્યમાં પોલીસ અધિકારીઓની નિમણૂકમાં કેન્દ્રએ એટલે હસ્તક્ષેપ કરવો પડી રહ્યો છે કે કારણકે રૂપાણી સરકારમાં જમીન માફિયાઓએ માથુ ઊંચક્યું છે. જેમાં ખાસ કરીને જામનગર હોય કે સુરત શહેરમાં અનેક વખતે જમીન કૌભાંડ અને તેની લેતી-દેતીમાં મર્ડર તેમ જ આપઘાતના કિસ્સાઓ બહાર આવ્યાં છે.
એક મહિનામાં જ જામનગર SPની બદલી થતાં અનેક તર્ક-વિતર્ક
જામનગર SP તરીકે શ્વેતા શ્રીમાળીની ગત ઓગસ્ટ મહિનામાં જ નિમણૂક થઈ હતી. 2010 બેચના IPS અધિકારી શ્રીમાળીને ડાંગ-આહવાથી બદલી કરાઈને જામનગર SP તરીકે મૂકાયા હતાં. ત્યારે ફરીથી તેમની બદલી કરીને જામનગરમાં જ SRP ગ્રુપ 17માં મૂકાયા છે. આ મામલે પણ સૂત્રો એવું કહી રહ્યાં છે કે શ્વેતા શ્રીમાળીના પતિ સુનિલ જોશી દ્વારકાના SP છે જેના કારણે તેમને જામનગરમાં ને જામનગરમાં જ બદલી મળી ગઈ. જો કે શ્વેતા શ્રીમાળીને લગભગ એક મહિનાની અંદર જ બદલી કરાઈ દેતાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યાં છે.
આજે ત્રણ IPS અધિકારીઓનો બદલી
આજે રાજ્યમાં ત્રણ IPS અધિકારીઓની બદલીના ઓર્ડર થયા હતાં. જેમાં અમદાવાદ ક્રાઈમના DCP દીપન ભદ્રનને જામનગરમાં SP તરીકે મૂકાયા હતાં. જ્યારે જામનગરના SP શ્વેતા શ્રીમાળીની જામનગરમાં જ SRPF ગ્રુપ 17માં બદલી કરાઈ દેવાઈ છે. તો બીજી બાજુ જામનગર SRPF ગ્રુપ 17માં ફરજ બજાવતા K.A નીનામાની કેવડિયા કોલોની SRPF ગ્રુપ 7 ખાતે બદલી કરાઈ છે.