વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શહેરમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમ હાથ ધરાયા છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે સવારે અસારવા વોર્ડમાં ભાજપના કાર્યકરો વૃક્ષારોપણ માટે એકઠા થયા હતા તે દરમિયાન આ વોર્ડનાં બે જૂથ અમુક કારણસર બાખડી પડતાં વોર્ડ પ્રમુખને ગડદાપાટુનો માર મરાયો હોવાનું જાણવા મળ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી રહ્યા હોઇ શહેર ભાજપનો જૂથવાદ આજના બનાવથી બહાર આવ્યો છે. અસારવા વોર્ડના કલાપીનગરના છેલ્લા બસસ્ટેન્ડ પાસે વૃક્ષારોપણ માટે એકઠા થયેલા ભાજપના કાર્યકરો વચ્ચે જૂથવાદના કારણે મામલો બીચકયો હતો. કેટલાક કાર્યકરોએ વિધાનસભા પ્રભારી હિંમતસિંહ પરિહારની હાજરીમાં વોર્ડ પ્રમુખ પ્રહલાદ પટેલને ગડદાપાટુનો માર માર્યો હોવાની વિગત જાણવા મળી છે.
આ અંગે કેટલાક કાર્યકરો સ્થાનિક ધારાસભ્ય અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવા એનેક્સી દોડી ગયા હતા. પ્રદીપસિંહ જાડેજાએ પણ સમગ્ર મારામારીના મામલાને ગંભીરતાથી લીધો હોવાનું જાણવા મળ્યું છે. શહેર ભાજપમાં સામી ચૂંટણીએ શહેર પ્રમુખ વિરુદ્ધ અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
મ્યુનિ. ભાજપમાં પણ એક અથવા બીજા પ્રકારનો જૂથવાદ હોઇ શિસ્તના નામે અત્યાર સુધી જૂથવાદ પડદા આડે રહ્યો હતો, પરંતુ હવે આ જૂથવાદ ધીમે ધીમે બહાર આવી રહ્યો હોઇ અસારવાના મામલાની છેક કોબા સુધી ગંભીર નોંધ લેવાય તેવી ચર્ચા ઊઠી છે.