અમદાવાદમાં રખડતાં ઢોરની સમસ્યા મામલે હવે તંત્રએ તમામ પશુ માલિકોને કડક આદેશ આપ્યા છે.
AMCની પશુ માલિકોને નોટિસ
'પશુને ખુલ્લામાં રાખવા નહીં'
'પશુનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત'
ગુજરાતમાં વર્ષોથી રખડતાં ઢોરની સમસ્યા છે અને છેલ્લા એક મહિનાથી તો ઢોરની સમસ્યાને લઈને રાજકારણ પણ થઈ રહ્યું છે અને હાઇકોર્ટની ફટકારના કારણે તંત્ર એક્શનમાં પણ આવ્યું છે. જોકે સામે પક્ષે માલધારી સમાજ દ્વારા વિરોધ થતાં સુરત જેવા જિલ્લાઓમાં તંત્ર નરમ પડ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ પશુમાલિકો માટે જાહેર નોટિસ કાઢવામાં આવી છે.
સ્માર્ટ સિટી અમદાવાદમાં અવારનવાર રખડતાં ઢોરના કારણે નિર્દોષ પ્રજાને હેરાન થવું પડે છે અને ઘણા કિસ્સાઓમાં લોકોએ જીવ ગુમાવવો પડે તેવા મામલા પણ સામે આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા પશુ માલિકોને ઢોરને લઈને કડક આદેશ આપવામાં આવ્યા છે.
પશુમાલિકોએ આટલા આદેશ માનવા પડશે
પશુ માલિકોએ પશુને ખુલ્લામાં રાખવા નહીં
પશુઓની અવર-જવરથી ટ્રાફિક ન કરવો
પશુ માલિકોએ પશુનું રજિસ્ટ્રેશન કરાવવું
ટેગ નહીં લાગેલા પશુને મુક્ત કરવામાં આવશે નહીં
પશુ રાખવાના સ્થળે સાફ-સફાઈ રાખવી
જાહેર સ્થળો પર પશુને ઘાંસચારો નાખવો નહીં
નાગરિકોએ જાહેર સ્થળોએ પશુઓને ખાદ્યપદાર્થ આપવો નહીં
જોકે હવે જોવાનું એ રહે છે આદેશ તો આપી દેવામાં આવ્યા છે પણ આ આદેશનું કેટલું પાલન થાય છે અને તે આદેશ પાલન કરાવવામાં તંત્ર કેટલું કામ કરે છે.
સુરતમાં માલધારીઓ સામે સરકાર ઝૂકી
સુરતમાં હાલના દિવસોમાં ઢોર મામલે તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો જેમાં અનેક ગેરકાયદે તબેલાઑ તોડી પાડવામાં આવ્યા હતા. જે બાદ માલધારી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો અને આંદોલન શરૂ હતું ત્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે બેઠક બાદ આંદોલન સમેટવામાં આવ્યું છે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે દિવાળી સુધી અન્ય કોઈ જ તબેલા તોડવામાં આવશે નહીં.