26મી જાન્યુઆરીને લઈને પોલીસ અત્યારથી જ સતર્ક બની ગઇ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને 30મી જાન્યુઆરી સુધી હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર હાઈએલર્ટ
26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખી હાઈએલર્ટ
એરપોર્ટ પર પેસેન્જરનું 2 વખત ચેકિંગ
26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે હંમેશા આતંકવાદી પ્રવૃત્તિઓનો ખતરો તોળાતો રહેતો હોય છે. ત્યારે દેશ વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકી પ્રવૃત્તિઓને રોકવા પોલીસ તંત્ર એલર્ટ રહેતું હોય છે. ત્યારે આજથી 30 જાન્યુઆરી સુધી અમદાવાદ એરપોર્ટને હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યું છે. 26 જાન્યુઆરીને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટને 30મી સુધી હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યું છે.
એરપોર્ટ પર પેસેન્જરોનું બે વખત ચેકિંગ
અમદાવાદ એરપોર્ટ પર આવનાર મુસાફરોનું બે વખત ચેકિંગ કરવામાં આવશે. ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ લેડર પોઈન્ટ પર મુસાફરોનું ચેકિંગ કરાશે. તેમજ એરપોર્ટ પર CISF દ્વારા પણ ખાસ વોચ રાખવામાં આવશે. એરપોર્ટ પર ટર્મિનલમાં ડોગ સ્ક્વૉડની ટીમ પણ તૈનાત કરવામાં આવશે. શંકાસ્પદ લાગતા મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત એરપોર્ટના પરિસરમાં કંઇપણ બિનવારસી હાલતમાં કોઇ ચીજવસ્તુ નજરે પડે તો તાત્કાલિક એરપોર્ટ મેનેજર અથવા સીઆઇએસએફને જાણ કરવાનો આદેશ અપાયો છે.
એરપોર્ટ પર યોજાઈ મોકડ્રિલ
સુરક્ષાને ધ્યાને રાખી એરપોર્ટ પર જવાનોની યોજાઇ મોકડ્રિલ યોજાઈ હતી. જેમાં કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર મટીરિયલ્સ (CBRN)ના ઉપયોગથી ઉદભવતા જોખમોને આવરી લેવામાં આવ્યા હતા. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ CBRN ઇમરજન્સીને હેન્ડલ કરવા માહિતી અને ટ્રેનિંગ સાથે પીડિતોને પ્રાથમિક સારવાર ઉપરાંત માનસિક સહાય પૂરી પાડવાનો હતો. આ મોકડ્રીલમાં 50 જેટલા જવાનોએ ભાગ લીધો હતો.
રાજકોટ પોલીસ પણ સતર્ક
પ્રજાસત્તાક દિનને ધ્યાને રાખી રાજરોટ પોલીસ પણ સતર્ક બની ગઇ છે. ગતરોજ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બોલાવાઈ હતી. જેમાં રાજકોટમાં 26 જાન્યુઆરીના પગલે સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તો સાથે જ રાજકોટ શહેરમાં 35થી વધુ અલગ-અલગ ટીમ બનાવી શહેરની હોટેલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.