અમદાવાદઃ બિનગુજરાતીઓ પર થઈ રહેલા હુમલા પર કોંગ્રેસના નેતા અહેમદ પટેલે પ્રતિક્રિયા આપી છે કે નિર્દોષ લોકો સાથે દુરવ્યવહાર થઈ રહ્યો છે. એક અથવા 2 લોકોની સજા આખા સમાજને ન આપવી જોઈએ. આ મામલે રાજ્ય સરકારે તાત્કાલિક પગલા લેવા જોઈએ. ત્યાર બાદ તેમણે પ્રદિપસિંહ પર કહ્યુ કે તેઓ રાજકરણનો ફાયદો ઉઠાવવા માટે કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે.
મહત્વનું છે કે બિહારમાં અલ્પેશ ઠાકોર માટે આકરા ચઢાણની સ્થિતિ સર્જાઇ છે. અલ્પેશ ઠાકોર બિહાર કોંગ્રેસમાં સહપ્રભારી છે ત્યારે બિહાર કોંગ્રેસના નેતાઓ ગુજરાતની સ્થિતિથી ભારે નારાજ છે. અલ્પેશ ઠાકોર સામે બિહાર કોંગ્રેસની નારાજગી હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. જો કે બિનગુજરાતીઓને ખદેડવામાં અલ્પેશના કથિત રોલ સામે નારાજગી વ્યાપી છે. ગઇકાલે શક્તિસિંહ ગોહિલ સાથે બિહારના નેતાઓએ બેઠક કરી હતી. શક્તિસિંહે બિહારના નેતાઓ સામે અલ્પેશ ઠાકોરનો બચાવ કર્યો હતો.
બીજી બાજુ રાજ્યમાં થઈ રહેલા બિનગુજરાતીઓ પર હુમલાના કારણે તેઓ હિજરત કરી રહ્યા છે. બિનગુજરાતીઓ હિજરત કરતા ઘણી કંપનીઓમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે લાખો બિનગુજરાતીઓ ગુજરાતમાં વસવાટ કરે છે. જેમાથી હજારો જેટલા બિનગુજરાતી હિજરત કરી ચુક્યા છે. ઉદ્યોગોમાં પણ બિનગુજરાતીઓ મોટા પ્રમાણમાં કાર્યરત છે. વિવિધ કંપનીઓમાં પેટા લેબર કોન્ટ્રાક્ટ પણ છે. માલ સામાનનો ઓર્ડર આપ્યા બાદ કારીગરો પલાયન કરતા માલિકો પણ ચિંતિત થયા છે.