લોકસભા 2024ની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી છે. જેના ફોટો તેઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે.
આગામી લોકસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ
ફૈઝલ પટેલે સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત
સી.આર.પાટીલ સાથે મુલાકાતના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા
કર્ણાટકમાં નવી સરકારના ગઠન બાદ ગુજરાત કોંગ્રેસમાં મોટે પાયે ફેરફાર થવાની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને બદલી શકે છે. આવા સમયે કોંગ્રેસના નવી પેઢીના નેતાઓમાં એક ચહેરો એવો છે, જે પોતાની ઉપસ્થિતિ અને પ્રાસંગિકતા નોંધાવવા માટે સતત પ્રયાસરત હોય એમ લાગી રહ્યું છે. આ વ્યક્તિ એટલે ફૈઝલ પટેલ.
ફૈઝલ પટેલે સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત
ફૈઝલ પટેલ કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અહમદ પટેલના દીકરા છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા ફૈઝલ પટેલે સી.આર.પાટીલ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. સી.આર.પાટીલ સાથેની મુલાકાતના ફોટો ફૈઝલ પટેલે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે ફૈઝલ પટેલ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. કોંગ્રેસમાં ફૈઝલ પટેલને મહત્વ આપવામાં આવી રહ્યું નથી.
આ પહેલા પણ વ્યક્ત કરી હતી નારાજગી
આ પહેલા પણ કોંગ્રેસના દિવગંત નેતાના પુત્રએ પણ ટ્વિટ કરીને કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસના દિવગંત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરીને ખળભળાટ મચાવ્યો હતો. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્તિ કરી હતી. તેઓએ ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવી અને સાથે એમ પણ લખ્યું હતું કે જવાબદારી અંગે રાહ જોઇને હું થાક્યો. આ ઉપરાંત ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતુ હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેઓએ અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી.
કોણ હતા અહેમદ પટેલ?
ગુજરાત ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત (1977, 1980, 1984) લોકસભા સાંસદ અને પાંચ વખત (1993, 1999, 2005, 2011, 2017 વર્તમાન સુધી) રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. અહેમદ પટેલે પહેલી વખત 1977માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેઓ 62,879 મતથી જીત્યા. ત્યારે તેમની ઉંમર 28 વર્ષ હતી. આ સિવાય 1977થી 1982 સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં. સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં. સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી રહ્યા.
કોંગ્રેસ પાર્ટીના ચાણક્ય ગણાતા હતા અહેમદ પટેલ
કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય સફર શરુ કરનારા અહેમદ પટેલ જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. જે ઓક્ટોબર 1988 સુધી રહ્યાં. 1991માં જ્યારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા. 1996માં અહેમદ પટેલ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. જો કે 2000માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જ્યોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.