અમદાવાદમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ મામલે સેશન્સ કોર્ટે બન્ને પક્ષની રજુઆત સાંભળી ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સાથે અન્ય 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરીને 10 વર્ષની સજા ફટકારી છે.
લઠ્ઠાકાંડ મામલામાં કોર્ટે વિનોદ, જયેશ અને અરવિંદને 10 વર્ષની સજા અને 50 હજાર રૂપિયા દંડ ફટકાર્યો.નંદાબેન, મીનાબેન, જસીબેનને સાડા ત્રણ વર્ષની સજા અને 2500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સેશન્સ કોર્ટે મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી, જયેશ, અરવિંદ, નંદાબેન, મીનાબેન અને જસીબેનને દોષિત જાહેર કર્યા છે. જ્યારે કોર્ટે 33 આરોપીઓે નિર્દોષ જાહેર કર્યા છે. 3 આરોપીઓને 304ની કલમ હેઠળ દોષિત અને 3 મહિલાને પ્રોહિબિશન હેઠળ દોષિત જાહેર કર્યા છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીના વકીલે જણાવ્યુ કે, કાગડાપીઠ પોલીસ સ્ટેશન અને ઓઢવ પોલીસ સ્ટેશનનો કેસ એક જ છે. આરોપી કાગડાપીઠ કેસમાં સજા ભોગવી ચૂક્યા છે અને બન્ને સજાને એક જ ગણવી જોઈએ. બન્ને કેસમાં એક જ સાથે ધરપકડ કરવામાં આવી છે. જેથી ઓછી સજા આપવાની આરોપીના વકીલે માગ કરી હતી.
વર્ષ 2009માં અમદાવાદના કાગડાપીઠના મજૂર ગામ અને ઓઢવ આમ ત્રણ વિસ્તારમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. જેમાં ઓઢવમાં 123થી વધુ લોકોનાં મોત થયા હતા. કાગડાપીઠના મજૂરગામમાં 23 લોકોનાં મોત થયા હતા. જ્યારે 250થી વધુ લોકોને ગંભીર અસર થઈ હતી. તો અનેક લોકોએ આ લઠ્ઠાકાંડ બાદ પોતાની આંખો પણ ગુમાવી હતી.