નવા વર્ષને આવકારવા માટે ૩૧ ડિસેમ્બરની રાતે સી.જી.રોડ પર લાખોની સંખ્યામાં લોકો રોડ પર આવે છે. જેમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસે તડામાર તૈયારીઓ કરીને લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી. ૩૧ ડિસેમ્બરનો પ્રસંગ પતી ગયો છે પરંતુ પોલીસે લોકો પર વોચ રાખવા માટે મૂકેલા વોચ ટાવર અને વાહનચાલકોને રોકવા માટે લગાવેલાં બેરિકેટો ઠેરનાં ઠેર છે. ૩૧ ડિસેમ્બરની ઉજવણીને ત્રણ દિવસ પૂરા થઇ ગયા છે છતાંય પોલીસે વોચ ટાવર અને બેરિકેટો હટાવ્યાં નથી.
પોલીસ પોઈન્ટ અને વોચ ટાવલર ગોઠવ્યા હતા
રથયાત્રા વખતે પણ ટાવર ત્યાના ત્યાં જ હતા
બેરિકેટ પણ મૂકાયા હતા
શહેરની સુરક્ષા માટે પોલીસનું યોગદાન હંમેશાં મોખરે રહ્યું છે. રથયાત્રા હોય કે, મોહરમ હોય કે પછી ૩૧ ડિસેમ્બરની ઉજવણી કેમ ના હોય. પોલીસ પોલીસની ફરજ હંમેશાં નિષ્ઠાપૂર્વક નિભાવે છે. રથયાત્રા, મોહમર અને ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં લાખોની સંખ્યામાં ભીડ એકત્રિત થતી હોય છે. ભીડમાં કેટલાંક અસામાજિક તત્ત્વ, રોમિયો, પાકિટચોર પણ સક્રિય થતા હોય છે. આવાં તત્ત્વોને રોકવા માટે પોલીસ અધિકારીઓ ખાસ પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરતા હોય છે અને પોલીસનો મોટાભાગનો કાફલો તૈનાત કરી દેતા હોય છે જેથી કરીને કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં.
પોલીસ પોઈન્ટ અને વોચ ટાવલર ગોઠવ્યા હતા
31 ડિસેમ્બરને લઇને પોલીસે પણ શહેરભરમાં ખાસ પ્રકારનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો જેમાં સીજી રોડ, એસ.જી.હાઇવે અને સિંધુ ભવન રોડ પર ઠેરઠેર ચેકિંગ પોઇન્ટ ગોઠવી દીધા હતા. દારૂડિયા તેમજ રોડ રોમિયોગીરી કરતા લોકો સામે પોલીસ લાલ આંખ કરી હતી, જ્યારે પાકિટમાર અને અસામાજિક તત્ત્વને પણ ઝડપી પાડ્યાં હતાં. સી.જી.રોડ પર પોલીસ ખાસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. જેમાં સ્વસ્તિક સર્કલ, તેનાથી આગળ ગિરીશ કોલ્ડ ડ્રિંક્સવાળું સર્કલ અને લો ગાર્ડન જવાના રોડ પર આવેલ સર્કલ પર ત્રણ વોચ ટાવર મુક્યા હતાં અને તમામ જગ્યાએ બેરિકેટ પણ મૂકી દીધાં હતાં.
બેરિકેટ પણ મૂકાયા હતા
સીજી રોડ પર આવેલા તમામ લોકો પર પોલીસે વોચ ટાવરથી વોચ રાખી હતી અને વાહનચાલકોને રોકવા માટે બેરિકેટ મદદરૂપ થયાં હતાં. ૩૧ ડિસેમ્બર પતી ગયાને ત્રણ દિવસ થયા છે છતાંય વોચ ટાવર અને બેરિકેટ ત્યાંનાં ત્યાં છે. પોલીસ વિભાગ તેમજ વિવિધ તંત્રો દ્વારા અને કોઇ પણ પ્રસંગ હોય ત્યારે બંદોબસ્તને લઇને વોચ ટાવર અને બેરિકેટ મૂકે છે પરંતુ જ્યારે પ્રસંગ પતી જાય તેને હટાવવાની તસદી લેવામાં આવતી નથી.
રથયાત્રા વખતે પણ ટાવર ત્યાના ત્યાં જ હતા
પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન રસ્તા પર દબાણ કરીને ઊભા રહેતા લારી ગલ્લા વાળા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે છે જ્યારે અનેક દબાણો હટાવી પણ લેતા હોય છે. હવે પોલીસે મૂકેલાં વોચ ટાવર અને બેરિકેટ દબાણની જેમ લાગી રહ્યાં છે તો તે ક્યારે હટાવાશે તે એક સવાલ ઊભો થયો છે. વોચ ટાવર અને બેરિકેટના કારણે ટ્રાફિકની સમસ્યા સીજી રોડ પર સર્જાઇ છે. એક બાજુમાં સીજી રોડના નવીનીકરણની કામગીરી ચાલતી હોવાથી રસ્તો સાંકડો થઇ ગયો છે ત્યારે આ પ્રકારનું દબાણ વાહનચાલકોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યું છે. આ પહેલાં પણ જ્યારે રથયાત્રા નીકળી હતી ત્યારે પોલીસે મૂકેલા વોચ ટાવર કેટલાક દિવસો ત્યાંનાંં ત્યાં પડી રહ્યાં હતાં.
આ મામલે પોલીસ શું કહે છે?
આ મામલે ઝોન-વનના ડીસીપી પી. એલ. મલ્લે જણાવ્યું છે કે, ''બેરિકેડ અને વોચટાવર હટાવી દેવામાં આવશે.''