જૂનાગઢમાં ગીર નેશનલ પાર્કમાં સિંહ સાથે ફોટોશૂટ અને ડૉક્યુમેન્ટરી વીડિયોને લઈને ગુજરાત ટુરિઝમ વિભાગ અને ડિજીટલ કન્ટેન્ટ ક્રિએટર અદિતિ રાવલ વિવાદમાં સપડાયા છે. ત્યારે આ મામલે સમગ્ર વિવાદ ખોટો ઊભો કરાયો છે તેવું તંત્ર અને અદિતિનું કહેવું છે. ફોટો અને વીડિયો શૂટ કરતી વખતે પ્રાણીઓ અને પર્યાવરણની સુરક્ષા અને નિયમોનું ઉલ્લંઘન ન થાય તેવા તમામ પગલાં લેવાયા હતાં.
હાલમાં અદિતિ રાવલે ગીર જંગલમાં ડોક્યુમેન્ટરી ફોટો શૂટ કરવા માટે જંગલમાં ફોટોઝ ક્લિક કરાવ્યા હતાં. આ તસવીરો તેણે તેના સોશ્યલ મીડિયા હેન્ડલ ઉપર પણ અપલોડ કરી છે. જેના પગલે મીડિયામાં આ તસીવરોને લઈને એક વિવાદ ઊભો થયો હતો જેને અદિતિ દ્વારા સમગ્ર રીતે ખોટો ગણાવાઈ રહ્યો છે. આ પૈકી એક ફોટોમાં તે ખુલ્લી જીપ્સીમાં પગ બહાર લટકાવીને હળવાશથી બેઠી છે. તેની બરાબર પાછળ એક સિંહણ બેઠી છે. આ ફોટાને પગલે પર્યાવરણવિદોમાં અને મીડિયામાં વિવાદ સર્જાયો છે.
કોઈ પણ અભ્યારણ્યમાં પ્રાણીઓની શાંતિ અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે છે
નોંધનીય છે કે કોઈ પણ અભ્યારણ્યમાં પ્રાણીઓની શાંતિ અને સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ ઉપરાંત સિંહ જેવા આક્રમક અને માંસાહારી પ્રાણીઓના વિસ્તારમાં પ્રવાસીની સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવી જરૂરી છે. આ ફોટોમાં આ બંને બાબતોનો નૈતિકતાને ધોરણે ભંગ થયો છે તેવી ચર્ચા ચાલી રહી છે.
શું કહેવું છે વન વિભાગના અધિકારીનું?
VTVGujarati.comએ જયારે વન વિભાગના અધિકારી દુષ્યંત વસાવડા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે અદિતિને સરકાર તરફથી ડોક્યુમેન્ટરી બનાવવા માટેની પરવાનગી મળેલી હતી જેને કારણે તે આ પ્રકારની ફોટોગ્રાફી કરી શકે છે. જયારે તેમને અદિતિના બહાર લટકતા પગ વિષે અને અદિતિની પાછળ જોખમી રીતે બેઠેલ સિંહ વિષે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ફરીથી કહ્યું કે વાઈલ્ડ લાઈફ વોર્ડન ઓફિસરની પરવાનગી લીધા પછી આ પ્રવૃત્તિ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે જો આ પ્રવૃત્તિમાં ક્યાંય જંગલ ખાતાના નિયમોનો ભંગ થતો હશે તો તેઓ પગલાં લેવા તૈયાર છે.
કંઈ પણ ગેરકાયદેસર નથી અને સિંહ તેમ જ માણસોની સુરક્ષાને પણ તમામ રીતે ધ્યાને લેવાઈ હતી : અદિતિ
આ બાબતે અદિતિ રાવલે પણ કહ્યું હતું કે આ સમગ્ર વિવાદ ખોટી રીતે ઊભો કરાયો છે. સોશ્યલ મીડિયા કે મીડિયામાં જે રીતે ફોટોને લઈને વિવાદ ઊભો થઈ રહ્યો છે તે ખોટો છે કારણ કે આ ફોટો શૂટ કરતી વખતે સિંહોને કે અન્ય કોઈને ખતરો થાય કે સુરક્ષામાં તકલીફ ઊભી થાય તેવી રીતે નથી કરાયું. ફોટો શૂટ કરવા માટે પણ 600 mm લૅન્સનો ઉપયોગ કરાયો છે જેથી વાહન તેમજ માણસ અને સિંહ વચ્ચે એક યોગ્ય અંતર જળવાઈ રહે. જેનાથી સિંહને પણ પજવણી ન થાય અને માણસની પણ સુરક્ષા જળવાઈ રહે.
શું અદિતિનું આ પગલું યોગ્ય હતું?
આ મુદ્દે VTVGujarati.comએ જંગલવિદ ભૂષણ પંડ્યા અને મનીષ વૈદ સાથે ચર્ચા કરી હતી. તેમના કહેવા પ્રમાણે કદાચ સરકારે અદિતિને પરવાનગી આપી દીધી હશે અને એ કાયદેસર હશે પરંતુ આમાં પ્રાણીઓની પજવણી ન થાય અને સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન ન થાય તે જોવું જોઈએ. ગુજરાત ટુરિઝમની ફરજ છે કે તેઓ તેમની એડમાં લોકોને સુરક્ષિત રીતે કેવી રીતે યાત્રા કરવી તેના ઉપર ભાર મૂકે.
જાહેરાત એ સરકારના નિયમોનું દર્પણ હોવી જોઈએ
જો કે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આમાં કોઈ નિયમોનો ભંગ થયો નથી તેવું જણાવાઈ રહ્યું છે. પરંતુ ચર્ચા એવી પણ થઈ રહી છે કે જ્યારે ખુદ ટુરિઝમ વિભાગ જ આ પ્રકારના ફોટો અને વીડિયો શૂટને પરવાનગી આપે છે ત્યારે જાહેરાતથી લોકો ગેરકાયદેસર કે જોખમી પ્રવૃત્તિ કરવા ન પ્રેરાય તેવું પ્રમોશન હોવું જોઈએ.