અદાણી કંપની પાસે અત્યારે દેશનાં ઘણા બધા એરપોર્ટ ચલાવવાની જવાબદારી છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. તિરુવનંતપુરમ એરપોર્ટનું સંચાલન અદાણીને સોંપી દેવાતા કેરળના સીએમ વિજયને વિવાદ પણ ઉભો કર્યો છે ત્યારે સૂત્રો અનુસાર અદાણીની નજર હવે મુંબઈ એરપોર્ટ પર પણ છે અને અદાણી ગ્રુપ અને GVK ગ્રુપ વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી જેનો ટૂંક સમયમાં અંત આવી શકે છે.
મુંબઈ એરપોર્ટના નિયંત્રણ માટે જરૂરી 51 ટકા હિસ્સો અદાણી ખરીદી શકે
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અદાણી ગ્રુપ અને જીવીકે જૂથ વચ્ચે વાતચીત
અમદાવાદ સહીત ત્રણ એરપોર્ટના સંચાલન માટે જર્મન કંપની સાથે કરી શકે છે કરાર
મુંબઈ એરપોર્ટ પર અદાણીની નજર ?
દેશના સૌથી પ્રતિષ્ઠિત એરપોર્ટમાં ગણાતા મુંબઈ એરપોર્ટનાં નિયંત્રણ મુદ્દે અદાણી ગ્રુપ અને GVK ગ્રુપ વચ્ચે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી જેનો ટૂંક સમયમાં અંત આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ એરપોર્ટના નિયંત્રણ માટે જરૂરી 51 ટકા હિસ્સો અદાણી ખરીદી શકે છે. નોંધનીય છે કે અદાણી પાસે અન્ય કેટલાક એરપોર્ટનું સંચાલન કરવાની જવાબદારી છે એવામાં મુંબઈ એરપોર્ટ પણ આ લિસ્ટમાં ઉમેરાઈ શકે છે.
જીવીકે ગ્રુપના હિસ્સાને ખરીદી લેવા માટે ચર્ચા
અદાણી પાસે અત્યારે અમદાવાદ, જયપુર, ગુવાહાટી, લખનૌ, મેંગલુરૂ, તિરુવનંતપુરમ એરપોર્ટનું સંચાલન છે. એવામાં અદાણીની નજર હવે મુંબઈ એરપોર્ટ પર પડી ગઈ છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અદાણી ગ્રુપ અને જીવીકે જૂથ વચ્ચે વાતચીત ચાલી રહી છે. અદાણી જૂથ જીવીકે ગ્રુપના હિસ્સાને ખરીદી લેવા માટે ચર્ચા કરી રહ્યું છે.
એરપોર્ટના સંચાલનને પોતાના હસ્તગત લેવા અદાણી જૂથે વાટાઘાટો શરુ કરી
હાલ જીવીકે ગ્રુપ મુંબઈ એરપોર્ટમાં 50.5 ટકા હિસ્સો ધરાવે છે. એવામાં જો આ ડીલ થઇ જાય તો જીવીકે ગ્રુપ મુંબઈ એરપોર્ટનાં સંચાલનમાંથી નીકળી જશે. જોકે હાલ એએઆઈના સૂત્રોએ આપેલ માહિતી અનુસાર હજુ સુધી કોઈ સત્તાવાર દરખાસ્ત આવી નથી પરંતુ એરપોર્ટના સંચાલનને પોતાના હસ્તગત લેવા અદાણી જૂથે વાટાઘાટો શરુ કરી દીધી છે.
અદાણી પાસે અન્ય પણ ઘણા એરપોર્ટનું સંચાલન
નોંધનીય છે કે અદાણી ગ્રુપને ઘણા સમયથી એરપોર્ટનું સંચાલન કરવા માટે સતત મંજૂરી મળી રહી છે પહેલા કેન્દ્રીય કેબીનેટ દ્વારા અમદાવાદ, મેંગલુરું અને લખનૌ એરપોર્ટનું સંચાલન અદાણીને સોંપવામાં આવી તે બાદ હાલમાં જ જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટને ચલાવવાની જવાબદારી પણ કેબીનેટની મંજૂરી બાદ અદાણીને આપી દેવામાં આવી હતી.
જર્મન કંપની સાથે વાતચીતની ચર્ચા
અદાણી કંપની પાસે હાલમાં જે એરપોર્ટનું સંચાલન છે તેને ચલાવવા માટે અદાણી જર્મનીની કંપની સાથે કરાર કરી શકે છે. અમદાવાદ, મેંગલુરું અને લખનૌ એરપોર્ટ જે અદાણીએ પ્રાઈવેટાઈઝેશન બીડમાં હાંસલ કર્યા છે તેના સંચાલન માટે Flughafen München GmbH કંપનીને અપાઈ શકે છે. આ કંપની હાલમાં Munich એરપોર્ટનું સંચાલન કરે છે.
મીડિયા અહેવાલ અનુસાર પેપરવર્ક અત્યારથી ચાલુ કરી દેવામાં આવ્યું છે અને બંને કંપની વચ્ચે એરપોર્ટના સંચાલાનની સાથે સાથે સ્ટાફને વૈશ્વિક ધોરણે તાલીમ આપવા માટે કરાર કરવામાં આવશે. નોંધનીય છે કે આ સિવાય અદાણી જૂથ દુનિયાની અન્ય 40 કંપનીઓ સાથે થર્મલ સ્કેનરના સપ્લાયને લઈને વાતચીતમાં છે.
કેરળ સરકારે ઉભો કર્યો વિવાદ
નોંધનીય છે કે બુધવારે કેબીનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે તિરુવનંતપુરમ સહીત ત્રણ એરપોર્ટને અદાણીને આપી દેવાનો નિર્ણય તેનો કેરળે વિરોધ નોંધાવ્યો હતો. કેરળ રાજ્યના સીએમ પિનરાઈ વિજયને પીએમ મોદીને આ મુદ્દે પત્ર પણ લખ્યો છે. તેમણે ફરિયાદ કરી કે આ નિર્ણય લેવામાં કેરળ સરકારની અનદેખી કરવામાં આવી છે.