અમદાવાદમાં સાફ-સફાઈને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. દુકાનની બહાર ગંદકી હોવાને કારણે બોડકદેવ વિસ્તારમાં આવેલી 3 દુકાનોને સીલ કરાઈ છે.
માણેકચોકની પણ એક સેન્ડવીચની દુકાન સીલ કરાઈ છે.
ગંદકી કરનારાઓ સામે કાર્યવાહીના આદેશ
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની કાર્યવાહી
દુકાનની બહાર ગંદકી હોવાથી દુકાનો સીલ કરાઈ
અમદાવાદ શહેરમાં ગંદકી કરનારાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંદકી કરનારાઓ સામે કાર્યવાહીના આદેશ અપાયા છે. જે બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ કામે લાગી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો દ્વારા ગતરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર રોડ પર કચરો ફેકનારા અને ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
દુકાનની બહાર ગંદકી હોવાને કારણે દુકાનો સીલ કરવામાં આવી
પાનના ગલ્લાઓ અને કીટલીઓ પર ડસ્ટબીન નહીં રાખનાર અને ન્યુસન્સ ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગતરોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા, થલતેજ સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન બોડકદેવ વિસ્તારમાં આવેલી 3 દુકાનોને સીલ કરાઈ હતી. દુકાનની બહાર ગંદકી હોવાને કારણે 3 દુકાનો સીલ કરવામાં આવી હતી. જજીસ બંગલો રોડ પર આવેલ તાજ પાન પાર્લર, પ્રિન્સ પાન પાર્લરને સીલ કરાયું હતું. આ ઉપરાંત માણેકચોકમાં આવેલી સેન્ડવીચની દુકાન પણ સીલ કરાઈ હતી.
AMC દ્વારા કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મનપા દ્વારા ફરી એકવાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાસ ડ્રાઇવ શરૂ કરાઇ છે. જાહેર રસ્તા પર ગંદકી કરતા એકમો સામે લાલ આંખ કરી એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઇ છે. શહેરમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ધંધાકીય એકમ બહાર કચરો નાખનારા સામે દંડનાત્ક તેમજ એકમ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.