સમગ્ર રાજ્યને કોરોના વાયરસે બાનમાં લીધું છે તો એક તરફ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં કામ કરવા આવેલા શ્રમિકોએ વતન તરફ ડગલા માંડ્યા છે ત્યારે શુક્રવારની મોડી સાંજે એક રોડ અકસ્માતની ગોઝારી ઘટના આબુરોડ નજીકના હાઇવે પર બની બની હતી. આ અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
આબુરોડ પર ગમખ્વાર અકસ્માત
મહારાષ્ટ્રથી રાજસ્થાન જતા પરિવારને નડ્યો અકસ્માત
અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત
આ અંગે પ્રાપ્ત થતી વિગત પ્રમાણે, આબુરોડ નજીક આવેલા કિરવરલી પાસે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે કાર વચ્ચે થયેલા આ અકસ્માતને પગલે કારમાં સવાર લોકો પૈકી 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ થયા છે અને અન્ય લોકો ઘાયલ થયા છે. જેમને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
એક જ પરિવારના 5 લોકોના મોત
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રથી સિરોહી પોતાના વતન જતા પરિવારને આ માર્ગ અકસ્માત નડ્યો છે. જેને લઈને એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આબુરોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.
દેશમાં કોરોનાં સંકટ ઘેરું બન્યું
કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 3390 કોરોના વાયરસના સામે આવ્યા છે આ સાથે જ 103 લોકોના મોત થયાં છે. આ સાથે જ દેશભરમાં કોરોના પોઝિટિવ મામલાની સંખ્યા 56,342 થઇ ચુકી છે. જેમાં 37,916 સક્રિય કેસ છે.
16,540 લોકો સ્વસ્થ થયાં
16,540 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે જેમને દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ અત્યાર સુધીમાં 1886 લોકોના કોરોના વાયરસને કારણે મોત થયા છે. આજે આંધ્રપ્રદેશમાં 54, કર્ણાટકમાં 24 રાજસ્થાનમાં 64 નવા કેસ નોંધાયા છે.