કોંગ્રેસ પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ મોદી સરકારને કેન્દ્રમાં રાખીને ટ્વિટ કર્યું કે આરબીઆઈ પાસેથી બેલઆઉટ પેકેજ કે પ્રોત્સાહન પેકેજ લેવું એ સાબિતિ છે કે અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી ખરાબ થઈ ચૂકી છે.
ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા કેન્દ્ર સરકારને 1.76 લાખ કરોડ રૂપિયાની વધુ રકમ ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને કોંગ્રેસે સોમવારે નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો કે આરબીઆઈ પાસેથી બેલઆઉટ પેકેજ કે પ્રોત્સાહન પેકેજ લેવું એ સાબિતિ છે કે અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી ખરાબ થઈ ચૂકી છે. કેન્દ્ર સરકારને મળનારા 1.76 લાખ કરોડ રૂપિયામાં 1 લાખ 23 હજાર 414 કરોડ 2018-19 માટે સરપ્લસ અને 52 હજાર 637 કરોડ રૂપિયા લાભાંશમાંથી નક્કી થયેલી વધારાની જોગવાઇ અંતર્ગત આપવામાં આવશે.
પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ એમ કહ્યું કે સરકારે જણાવ્યું નથી કે આ રૂપિયાનો ઉપયોગ ક્યાં કરવામાં આવશે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે સરકાર દ્વારા પોતાને પ્રોત્સાહન પેકેજ આપવું એ સાબિતિ છે કે અર્થવ્યવસ્થા સંકટમાં છે. સરકાર પોતે જ આરબીઆઈથી મળનારા ઘરેલૂ અનુદાન પર નિર્ભર છે.
મદદ લેનારી સરકાર શું મદદ કરશે?
તેઓએ વધુમાં એમ પણ કહ્યું કે આ રૂપિયાનો ઉપયોગ સરકાર કઈ યોજના માટે કરશે તેનો તેઓએ ખુલાસો કર્યો નથી. જો આ રૂપિયા કોઈ પ્રાથમિકતા વિનાની જગ્યાએ કે પ્રશાસનના ખર્ચ માટે ઉપયોગમાં લેવામાં આવશે તો બધા મુશ્કેલીમાં મુકાશે. તેઓએ વધારે ઉગ્ર રીતે એમ પણ કહ્યું કે જ્યારે આ સરકાર પોતે આરબીઆઈ પાસેથી પ્રોત્સાહન પેકેજ લઈ રહી છે તો ઓટો, નિર્માણ, નાના અને લઘુ ઉદ્યોગોને કઈ રીતે પ્રોત્સાહન પેકેજ પૂરું પાડશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને લાભાંશ અને સરપ્લસ ફંડમાંથી 1.76 લાખ કરોડ ટ્રાન્સફર કરવાનો નિર્ણય સોમવારની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસની હાજરીમાં RBIના સરપ્લસ ફન્ડમાંથી સરકારને કેટલી રકમ મળવી જોઇએ તે નક્કી કરવા માટે RBIના પૂર્વ ગવર્નર બિમલ જાલાનની અધ્યક્ષતામાં એક કમિટીની ભલામણનો સ્વીકાર કરવા માટે આ પગલું લેવામાં આવ્યું હતું.