ભાવનગરમાં મનપા વોટર્સ વિભાગની ઘોર બેદરકારી સામે આવી. એક તરફ પ્રજા પાસેથી પ્રાથમિક સુવિધાઓ આપવા માટે ટેક્સ વસૂલાય છે તો બીજી તરફ પ્રજાની સુખાકારી જાળવવામાં લાપરવાહી દાખવવામાં આવે છે. ત્યારે ભાવનગરમાં તંત્રની ઘોર લાપરવાહી સામે આવી. ભાવનગર મનપા વોટર્સ વિભાગની ઢીલી નીતિને કારણે ભાવનગરની લાખો જનતા દૂષિત પાણી પીવા મજબૂર થઇ છે.
કાળિયાબીડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી
વાત જાણે એમ છે કે ભાવનગરમાં પીવાનું પાણી પુરુ પાડતી કાળિયાબીડ પાણીની ટાંકીનો અચાનક સ્લેબ ધરાશાયી થઇ ગયો. રસ્તા વચ્ચો વચ આવેલી પાણીની મસમોટી ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા અધિકારીઓ દોડતા થયા હતા. જો કે સ્લેબ તૂટીને ટાંકીમાં જ પડ્યો જેથી કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ અહીં સવાલ એ થાય છે કે આવી જર્જરિત ટાંકી હોવા છતાં તંત્ર દ્વારા કેમ સમારકામ કરવામાં આવતુ નથી. જો આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ હોત તો જવાબદાર કોણ ? પાણીની ટાંકી જર્જરિત થઇ ગઇ છે તેનાંથી શું તંત્ર અજાણ હતું ?
મહિનાઓથી લોકો અશુદ્વ પાણી પી રહ્યાં છે
17 લાખ લિટરની પાણીની ક્ષમતા ધરાવતી આ ટાંકી અસંખ્ય લોકોની તરસ છીપાવે છે. ત્યારે સ્લેબ પાણીની અંદર પડતા દૂષિત બનેલુ પાણી પીવા લોકો મજબૂર થયા છે. વળી આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે પાણીની ટાંકીનો ઉપરનો ભાગ તૂટી ગયો છે એટલે કે પાણીની ટાંકી ઉપરથી સાવ ખુલ્લી થઇ ગઇ છે. ત્યારે આવુ ધૂળિયુ અને પ્રદૂષિત પાણી કેમ પીવે જનતા ? આ વાતને પણ એક મહિનો થઇ ગયો પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. 1 લાખ કરતા પણ વધારે લોકો આ પાણીની વપરાશ કરે છે ત્યારે જો કોઇ નાગરિક આવા ગંદા પાણીથી બીમારીનો ભોગ બને તો જવાબદાર કોણ ?