સુરતમાં કોરોનાના કેસમાં ICUના દર્દીઓની સંખ્યા વધવાની સાથે છેલ્લા કેટલાક દિવસોમાં 6 હજાર જેટલા ઓક્સિજન સિલિન્ડરની સપ્લાઈ સિવિલ હોસ્પિટલમાં થઈ
સુરતમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો
ICUના દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની સપ્લાઈ વધી
સુરતની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની માગ વધી
સુરતમાં કોરોનાના કેસોની સાથે સારવારમાં પણ તકલીફ ઉભી થઈ રહી છે. કોરોનાના કેસમાં ICUના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા કેટલાક સમયમાં 6 હજાર જેટલા ઓક્સિજન સિલિન્ડરની સપ્લાઈ સુરતની સિવિલ હોસ્પિટલમાં થયા છે. આ સાથે ઓક્સિજનની માગ પણ વધી છે. આશરે ઓક્સિજનની માગ 200 ટન જેટલી છે.
સુરતમાં કોરોનાના કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો હોવાનું સામે આવ્યું છે. VTVએ કરેલી તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરતના અશ્વિની કુમાર સ્મશાન ખાતે આજે કોવિડની ગાઇડલાઇન પ્રમાણે અત્યાર સુધીમાં 20 મૃતદેહો લાવવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગવા છતાં તંત્ર સાચા આંકડા છુપાવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાએ ગતરોજની યાદીમાં ગરબડ કર્યાનો આક્ષેપ કરાયો છે. આજે સ્મીમેર હોસ્પિટલમાં 6 કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુ થયા છે. પરંતુ પ્રશાસન કેટલા મોત દર્શાવે છે તેના પરથી સાચી હકીકત સામે આવશે. જો કે કોરોનાના મૃતકોના આંકડા સામે અનેક સવાલો ઉભા થયા છે.
આવતીકાલથી સુરત માંડવી નગરમાં સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 15 એપ્રિલ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી દુકાનો રહેશે. કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે આવશ્યક સેવાઓ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે.
સુરત શહેરમાં વધતા કોરોનાના કેસને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે. સુરતમાં વલસાડથી કચરાના ટેમ્પોમાં વેન્ટેલટર સિસ્ટમ લઈ જવાતા વિવાદ જોવા મળ્યો છે. ઈમરજન્સીને કારણે કચરાના ટેમ્પોમાં મશીન લઈ જવાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મશીનો લઈ જવાયા હતાં.