એડવોકેટે 20 રૂપિયા માટે રેલવે સામે 21 વર્ષ લાંબી કાનૂની લડાઈ લડી અને અંતે સફળતા મળી. કન્ઝ્યુમર ફોરમે એડવોકેટની તરફેણમાં ચુકાદો આપી રેલવેને 15,000 રૂપિયાનો દંડ ભરવા કહ્યું
ઉત્તર પ્રદેશના મથુરાના વકીલ 20 રૂપિયા માટે 21 વર્ષ સુધી કાનૂની લડાઈ લડ્યા
1999માં રેલવે બુકિંગ કલાર્કે 20 રૂપિયા વધુ લેતા ગ્રાહક ફોરમમાં કેસ કર્યો હતો
21 વર્ષ કન્ઝ્યુમર ફોરમે ચુકાદો આપી રેલવેને 15,000 રૂપિયાનો દંડ ફટકાર્યો
ઉત્તર પ્રદેશના મથુરાના એક વકીલે 20 રૂપિયા માટે 21 વર્ષ સુધી કાનૂની લડાઈ લડ્યા બાદ ભારતીય રેલવે સામે કેસ જીત્યો છે. વાત જાણે એમ છે કે, મથુરાના રહેવાસી એડવોકેટ તુંગનાથ ચતુર્વેદીએ રેલવેના બુકિંગ ક્લાર્ક દ્વારા 20 રૂપિયા વધારાના લેવાના મામલે ગ્રાહક ફોરમમાં દાવો કર્યો હતો. જેના પર ગ્રાહક ફોરમે 21 વર્ષ સુધી સુનાવણી કર્યા બાદ અરજદાર (એડવોકેટ)ની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો ?
મથુરાના ગલી પીરપંચના રહેવાસી એડવોકેટ તુંગનાથ ચતુર્વેદી 25 ડિસેમ્બર 1999ના રોજ મુરાદાબાદ જવા માટે મથુરા કેન્ટ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેણે બુકિંગ ક્લાર્કને 2 ટિકિટ લેવા કહ્યું, જેના પર બુકિંગ ક્લાર્કે 70 રૂપિયાની ટિકિટના 90 રૂપિયા લીધા, જ્યારે એક ટિકિટ 35 રૂપિયાની હતી. 35 રૂપિયા પ્રતિ વ્યક્તિની ટિકિટ મુજબ 2 ટિકિટની કિંમત 70 રૂપિયા હતી, પરંતુ રેલવેના બુકિંગ ક્લાર્કે 90 રૂપિયા લીધા હતા. એડવોકેટ તુંગનાથ ચતુર્વેદીએ બુકિંગ ક્લાર્કને 20 રૂપિયા પરત કરવાનું કહ્યું હતું પરંતુ તેણે પરત કર્યા ન હતા. લાંબી ચર્ચા વચ્ચે ટ્રેન આવી અને તુંગનાથ મુરાદાબાદ જવા રવાના થઈ.
એડવોકેટ તુંગનાથ ચતુર્વેદી ગ્રાહક ફોરમમાં કેસ કર્યો
આ તરફ એડવોકેટ તુંગનાથ ચતુર્વેદીએ આ ગેરકાયદે વસૂલાત સામે ગ્રાહક ફોરમમાં નિર્ધારિત રૂપિયા કરતાં 20 રૂપિયા વધુ વસૂલવાના મામલે કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં જનરલ મેનેજર નોર્થ ઈસ્ટ રેલ્વે ગોરખપુર અને મથુરા કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશનના વિન્ડો બુકીંગ ક્લાર્કને યુનિયન ઓફ જનરલ ઈન્ડિયા દ્વારા પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. જે બાદમાં એડવોકેટ તુંગનાથ ચતુર્વેદીએ 21 વર્ષ સુધી લાંબી કાનૂની લડાઈ લડી હતી. ત્યારબાદ ગ્રાહક ફોરમે એડવોકેટ તુંગનાથ ચતુર્વેદીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને માનસિક, આર્થિક અને મુકદ્દમા ખર્ચ પેટે 15 હજાર રૂપિયા વાર્ષિક 20 રૂપિયાના 12 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
રેલવેએ એક મહિનામાં ચૂકવણું કરવું પડશે
સમગ્ર મામલે કન્ઝ્યુમર ફોરમે રેલવેને 30 દિવસમાં રકમ પરત કરવાનો આદેશ આપ્યો છે. જો રેલ્વે 30 દિવસની અંદર રકમ પરત નહીં કરે તો 20 રૂપિયા પર વાર્ષિક 15 ટકાના દરે રકમ ચૂકવવી પડશે. એડવોકેટ તુંગનાથ ચતુર્વેદીએ કહ્યું કે, ન્યાય મેળવવામાં સમય લાગ્યો પરંતુ તેઓ સંતુષ્ટ છે કે, આખરે ગેરકાયદે વસૂલાત સામે નિર્ણય આવ્યો છે.