ગતરોજ રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. મોરબી દુર્ઘટનામાં અમદાવાદના ચાવડા પરિવારની 7 વર્ષની બાળકીએ માતા-પિતા ગુમાવ્યા છે.
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે. રવિવારની રજા હોવાથી અનેક પરિવારો બાળકો સાથે ઝૂલતા પુલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સાંજના સમયે આચનક બ્રિજ તૂટી જતાં લોકો પાણીમાં ખાબક્યા હતા. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. પુલ તૂટવાની ઘટનામાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. પુલ તુટી પડતા અનેક પરિવારોના માળાઓ વિખાયા છે. અનેક માતા-પિતાઓએ પોતાના સંતાનો ગુમાવ્યા છે, તો કેટલાય બાળકો માતા-પિતાની છત્રછાયા ખોઇ બેસ્યા છે. અમદાવાદનો ચાવડા પરિવાર મોરબી દુર્ઘટનાનો ભોગ બન્યો છે.
પત્ની અને બાળકી સાથે ફરવા ગયા હતા મોરબી
અમદાવાદમાં રહેતા અશોકભાઈ ચાવડા પોતાની પત્ની ભાવનાબેન ચાવડા અને 7 વર્ષીય દિકરી સાથે મોરબી ફરવા ગયા હતા. આ દરમિયાન ઝૂલતો પુલ તૂટ્યો હતો. જેમાં બાળકીના માતા-પતિ અશોકભાઈ અને ભાવનાબેનનું મૃત્યુ થયું છે, જ્યારે 7 વર્ષીય બાળકીનો બચાવ થયો છે. જેથી બંન્ને મૃતકોના વીએસ સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
7 વર્ષની માસુમે ગુમાવી માતા-પિતાની છત્રછાયા
તેમના પરિવારે જણાવ્યું કે, મૃતક અશોકભાઈ મેડિકલોમાં દવાઓ સપ્લાય કરવાનું કામ કરતા હતા. તેઓ પરિવાર સાથે કચ્છ ફરવા માટે ગયા હતા. જ્યાંથી તેઓ મોરબીનો ઝૂલતો પુલ જોવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક દુર્ઘટના સર્જાઈ હતા. આ દુર્ઘટનામાં અમદાવાદની 7 વર્ષની માસુમ બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.
આખી રાત પૂછતી રહી બાપુ પપ્પા અને મમ્મી ક્યાં ગયાઃ મૃતકના પિતા
મૃતક અશોકભાઈના પિતાએ જણાવ્યું કે, 'અમને સાંજે ફોન આવ્યો અને અમે ગાડી કરીને મોરબી જવા નીકળી ગયા, ત્યાં જઈને જોયું તો દીકરાનું અને તેની પત્નીનું અવસાન થયું હતું. દીકરાની સાત વર્ષની બાળકી આખી રાત મને પૂછતી રહી કે બાપુ પપ્પા અને મમ્મી ક્યાં ગયા. મારે મમ્મી-પપ્પા પાસે જવું છે.'
મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું
આપને જણાવી દઈએ કે, મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. મોરબીની દુર્ઘટનાને લઇને રાજ્ય આખું ધ્રુજી ઉઠ્યું છે. એવામાં મૃત્યુ પામેલા પૈકી 132 મૃતકોની નામજોગ યાદી જાહેર કરી દેવામાં આવી છે.