આવતીકાલે શિવાલયોમાં મહેવના ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ત્યારે શિવ મંદિરો દ્વારા મહાશિવરાત્રીને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
મહાપર્વ માટે કામેશ્વર મંદિરમાં તૈયારી
શિવભક્તો માટે અનોખી પ્રસાદી
પક્ષીના પાણી પીવાના કુંડા આપાય છે પ્રસાદીમાં
આવતીકાલે દેશભરના શિવ મંદિરોમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી અને શિવરાત્રીના દિવસે અલગ શિવ મંદિરોમાં આરતી પૂજા અને અનુષ્ઠાન કરવામાં આવે છે. સાથે સાથે ભાંગની પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવે છે પરંતુ અમદાવાદ શહેરમાં આવેલું કામેશ્વર મહાદેવ મંદિરમાં એક અનોખી પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. આવતીકાલે શહેરના અંકુર વિસ્તારમાં આવેલા પૌરાણિક મંદિર એવા કમેશ્વર મહાદેવના મંદિરમાં પ્રસાદી રૂપે પક્ષીઓને પાણી પીવા માટે પાણીના કુંડાનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે. જેથી મહાશિવરાત્રીને લઈ કામેશ્વર મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સવા લાખ બીલીપત્રનો અભિષેક કરવામાં આવશે
મહાશિવરાત્રીના પર્વને લઈને શિવાલયોમાં મહાદેવના ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે અંકુર ચાર રસ્તા પાસે આવેલ કામેશ્વર મહાદેવ મંદિરે સવા લાખ બીલીપત્રનો અભિષેક કરવામાં આવ્યો છે. કામેશ્વર મંદિર ખાતે 4 પ્રહરની આરતી પણ કરવામાં આવશે. તેમજ મહાદેવને કાલના દિવસે મંદિર ખાતે ભસ્મ આરતી પણ કરવામાં આવશે. મંદિર ખાતે આવતા શિવભક્તો માટે અનોખી પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળામાં આકરી ગરમીને લઈને મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દરેક ભક્તોને પક્ષીના પાણી પીવાના કુંડા આપવામાં આવશે.