સરકારના ઈન્દ્રધનુષ અભિયાનનું સુરસુરીયુ થઈ ગયુ છે. બનાસકાંઠાના ધાનેરામાં ડીપ્થેરિયા કે જેને ગલઘોટુ પણ કહે છે તેણે હાહાકાર મચાવ્યો છે. હાલ આરોગ્ય વિભાગ યુધ્ધના ધોરણે કામે લાગ્યુ છે તેમ છતાં 4 બાળકોના મોત થયા છે અને 20થી વધુ બાળકોને આ રોગનો ચેપ લાગી ચૂક્યો છે.
ભારત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 25 ડિસેમ્બર 2014 ઈન્દ્રધનુષ અભિયાનનો આરંભ કર્યો છે જે પાછળ કરોડો ખર્ચાઈ ચૂક્યા છે એમ છતાં બાળ મૃત્યુ દર વધી રહ્યો છે અને બાળકોને રસીકરણના પ્રોગ્રામથી જે રોગથી બચાવી શકાય તેમ હોય છે તેમ છતાં તેમના મોત થઈ રહ્યા છે. સરકારે 12 જીવલેણ રોગો સામે બાળકોના રક્ષણ હેતુથી મફત રસીકરણના કાર્યક્રમ યોજ્યા છે અને 2020 સુધીમાં તમામ બાળકોને રસીકરણમાં આવરી લેવાના ગુલાબી સપના બતાવ્યા છે એનું શુ?
આરોગ્યવિભાગની 20 ટીમ કામે લાગી
રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર,બનાસકાંઠા આરોગ્ય વિભાગની ટીમોએ ડીપ્થેરિયાને નાથવાની કવાયત હાથ ધરી છે પણ હજુ પરિસ્થિતિ કાબૂમાં નથી આવી રહી. રોગને નાથવા આરોગ્ય વિભાગની 20 ટીમ કામે લાગી છે અને 1500 બાળકોને ડીપ્થેરિયાની રસી આપવામાં આવી છે.
કેવી રીતે થાય છે ડીપ્થેરીયા
ડીપ્થેરીયાનો રોગ કોરીનોબેક્ટેરીયમ ડીપ્થેરી નામક બેક્ટરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે.
ડિપ્થેરિયાના લક્ષણો
શ્વાસ લેવામાં તકલીફ પડવી,
ગળામાં કાકડા પર પીળા રંગની ચામડી થઈ જવી,
તાવ આવવો,
ખાંસી આવવી,
જમવામાં તકલીફ થવી,
ગળાના અંદરના ભાગે સોજો આવવો
શું છે ઈલાજ
આવા દર્દીને ગળામાંની લસિકા ગ્રંથિમાં ખૂબ સોજો આવવાથી ગળુ બાહરથી ખૂબ સુજેલુ લાગે છે જેને અંગ્રેજી માં બુલ નેક તરીકે ઓળખાય છે. આવા દર્દીને તાત્કાલિક સારવારની જરુરત પડે છે જેમાં મુખ્ય દવા તરીકે બેક્ટેરીયાના વિષદ્રવ્ય સામે કામ કરતુ પ્રતિવિષદ્રવ્ય આપવુ પડે છે.
ઘણા દર્દીને શ્વાસની તકલીફ હળવી કરવા શ્વાસનળીમાં છેદ કરીને એક શ્વસનનળી પણ મૂકવી પડે છે. દર્દી કદાચ શરુઆતની આ તકલીફોમાંથી હેમખેમ બચી જાય તો પણ લાંબા ગાળે બેક્ટેરીયાના વિષદ્રવ્યની અસરથી થતી રોગની અન્ય તકલીફો કે જેમાં હૃદય પર ઘાતક અસરો અને ચેતા નસો પર અસર થવાથી લકવા જેવી બિમારી સામે ક્યારેક ઝઝૂમવુ પડે છે.
શું છે ઈન્દ્રધનુષ અભિયાન
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 25 ડિસેમ્બર 2014ના રોજ ઇન્દ્રધનુષ અભિયાનનો આરંભ કરાયો હતો. 2009 થી 2013ના ગાળામાં રસીકરણનો લાભ 61 થી 64 ટકાએ પહોંચ્યો હતો. જેમાં વાર્ષિક 1 ટકાની જ સફળતા ગણાય. સરકારે આ એક ટકાની ગણતરીને ધ્યાનમાં લઈને 2020ની સાલ સુધીમાં તમામ બાળકોને રસીકરણ કાર્યક્રમમાં આવરી લેવા માટે વાર્ષિક 5 ટકાનો વૃદ્ધિદરનો લક્ષ્યાંક રાખવાના હેતુથી ઇન્દ્રધનુષ અભિયાન શરૂ કર્યુ છે.
ઈન્દ્રધનુષ અભિયાન હેતુઓ
રસી દ્વારા અટકાવી શકાતા રોગોનો ભોગ એક પણ બાળક ન બને તે માટે સાલ 2020 સુધીમાં દેશના તમામ બાળકોને આવરી લેવા છે. 12 જીવલેણ રોગો સામે બાળકોને રક્ષણ આપવા દર વર્ષે 2.60 કરોડ બાળકોને સાર્વત્રિક રસીકરણ યોજના હેઠળ રસી મૂકવામાં આવે છે. ક્ષય, ડીપ્થેરીયા, ધનીર, પોલીયો, કમળો, ન્યુમોનિયા, મગજનો તાવ, ઇન્ફ્લ્યુએન્ઝા-ટાઈપ-બી, ઓરી, અછબડા, જાપનીઝ અન્સિફેલાઈટીઝ, રોતા વાઈરસ ડાયેરિયા વગેરે રોગોથી બાળકોને બચાવવા માટે વિવિધ પ્રકારની જીવનરક્ષક રસીઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.