સુરતની તક્ષશિલા આર્કેડના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે જેમાં 20 વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં કેવડિયા યશવી દિનેશભાઇ, વરસાણી માનસી પ્રવીણભાઇ અને સુરાણી હસ્તી હિતેશભાઇનું નામ સામેલ છે. આ ત્રણેય 12માં ધોરણની વિદ્યાર્થીની હતી.
આજે ગુજરાત બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં ત્રણેય વિદ્યાર્થીનીઓએ સારા માર્કે પરીક્ષા પાસ કરી છે. ત્યારે આજના દિવસે તેમના પરિવારમાં ખુશીનો માહોલ ના બદલે માતા-પિતા ચોધાર આંસુએ રડી રહ્યા છે. જેનું દર્દ અમે શબ્દોમાં રજૂ નથી કરી શકતા.
આ ત્રણેય વિદ્યાર્થીનીઓ 12માં ધોરણમાં કોમર્સની વિદ્યાર્થીનીઓ હતી. જેની સાથે તેઓ તક્ષશિલા આર્કેડના કોચિંગ સેન્ટરમાં ફાઇન આર્ટ્સમાં ટ્યુશન ક્લાસ લેવા જતી હતી. દુર્ઘટના દરમિયાન ત્રણેય ત્યાં હાજર હતી.
આ ત્રણેય વિદ્યાર્થીનીઓ ભણવારમાં ખુબ હોશિયાર હતી. તમને જણાવી દઇએ કે, કેવડિયા યશવીને 67.75 ટકા સાથે પાસ થઇ છે. જેમાં તેમણે 700માંથી 418 માર્ક્સ આવ્યા છે.
વરસાણી માનસીએ 52.03 ટકા મેળવ્યા છે. તેમને 700 માંથી 374 માર્ક્સ મેળવ્યા છે.
ત્યારે સુરાણી હસ્તીએ 700માંથી 423 માર્ક્સ આવ્યા છે. તેમણે પરીક્ષામાં 69.39 ટકા મેળવ્યા છે.
મૃતક વિદ્યાર્થીઓનું ધોરણ 12નું પરિણામ
સુરાણી હસ્તી હિતેષભાઇ - 69.39 ટકા
કેવડિયા યશવી દિનેશભાઇ - 67.75 ટકા
વરસાણી માનસી પ્રવિણભાઇ –52.03 ટકા
સુરતમાં તક્ષશિલા કોમ્પલેક્સમાં ગઇકાલે લાગેલી આગમાં અત્યાર સુધીમાં કુલ 22ના મોત થયા છે. ગઇકાલે 19ના મોત થયા હતા જ્યારે આજ સવારથી અત્યાર સુધીમાં વધુ 3ના મોત થતાય મૃત્યુ આંક 22એ પહોંચ્યો છે. આજે પી.પી. મણિયા હોસ્પિટલમાં અઢી વર્ષની બાળકીનું મોત થયું છે.