વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસના બે ધારાસભ્ય કેસરીયો કરશે તેવી માહિતી સૂત્ર દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર
ચૂંટણી પહેલા ફરી એક વાર કોંગ્રેસ તૂટી શકે છે
કોંગ્રેસના બે ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તડજોડની રાજનીતિ સક્રિય થઈ છે. કોઈ ભાજપ સાથે છેડો ફાડી રહ્યું છે તો કોઈ કોંગ્રેસનો હાથ છોડવા તૈયાર બેઠું છે. નવી નવેલી આપ પાર્ટીમાં પણ ઝાડુ ફરી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા ફરી એક વાર કોંગ્રેસ તૂટી શકે છે.
કોંગ્રેસના બે ધારાસભ્ય આપી શકે છે રાજીનામુ
આ વખતે કોંગ્રેસના ગઢના ગાબડું પાડવાની ફિરાકમાં ભાજપમાં તૈયાર છે. મોટા માથા અને લોકચાહના ધરાવતા કોંગ્રેસના એમએલએને પડખે કરવા લોબિંગ થઈ રહ્યું છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસના બે ધારાસભ્ય ગમે ત્યારે રાજીનામું આપી શકે છે. તેની તૈયારી પણ થઈ ગઈ છે બસ મોકો જોઈ ચોકો મારવાની લ્હાયમાં બે ધારાસભ્યો બેઠા છે. સાથે એ પણ નક્કી જ છે કે રે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાશે. અને બંને ધારાસભ્યો સૌરાષ્ટ્ર કોંગ્રેસના હોવાની માહિતી સૂત્ર મુજબ પ્રાપ્ત થઈ રહી છે.
કોંગ્રેસમાંથી આપ પાર્ટીમાં જવાનો સિલસિલો પણ યથાવત
દેશમાં ચૂંટણીઓ નજીક આવતા નેતાઓના પાર્ટી બદલવાનો સિલસિલો પણ પ્રારંભ થઇ જતો હોય છે અને એમાં પણ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે એટલે કોંગ્રેસ તૂટે એ વાતમાં કોઇ ગુજરાતીને શક ન હોય ત્યારે વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે એવામાં અમદાવાદ કોંગ્રેસને એક ઝટકો લાગ્યો છે. ગઈકાલે અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, પૂર્વ પ્રદેશ મહામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રબોધ રાવલના પુત્ર ચેતન રાવલ AAP નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની હાજરીમાં AAPમાં જોડાયા હતા તો સાથે સાથે પૂર્વ CM છબીલ મહેતાના સુપુત્રી નીતાબેન, સામાજિક આગેવાન ડો.સુનિલ જાદવ અને હળવદ ન.પાના પૂર્વ પ્રમુખ મનસુખ પટેલ પણ AAPમાં જોડાયા હતા.
BTPના ચૈતર દામજી વસાવા AAPમાં જોડાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક નેતાએ પક્ષ બદલ્યો છે. ગઠબંધન તૂટ્યા બાદ AAPએ BTPને મોટો ઝટકો આપ્યો છે. BTPના ચૈતર દામજી વસાવા AAPમાં જોડાયા છે. અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાને AAPમાં આવકાર્યા છે. ગુજરાત BTPના કાર્યકારી અધ્યક્ષ પદ ચૈતર વસાવા સંભાળી રહ્યા હતા.