પાકિસ્તાનમાં ગઈકાલે રાત્રે એસી બસમાં આગ લાગતાં આઠ બાળકો અને નવ મહિલાઓ સહિત 18 લોકો જીવતા સળગી ગયા હતા.
પાકિસ્તાનમાં એક મોટી બસ દુર્ઘટના
એસી બસમાં આગ લાગતાં 18 લોકોના મોત
આ બસમાં 80 પૂર પીડિત લોકો સવાર હતા
પાકિસ્તાનમાં ગઈકાલે રાત્રે એક મોટી બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 18 પૂર પીડિતોનાં મોત નીપજ્યાં હતાં. એસી બસમાં આગ લાગતાં આઠ બાળકો અને નવ મહિલાઓ સહિત 18 લોકો જીવતા સળગી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના બુધવારે રાત્રે સિંધ પ્રાંતના નૂરીબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. બસમાં 80 પૂર પીડિતો હતા. રીપોર્ટના જણાવ્યા અનુસાર આ બસ ખૈરપુર નટથન શાહથી કરાચી જઈ રહી હતી. ઘાયલોને જામશોરો અને નૂરીબાદની સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
ACમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
ગુરુવારે જામશોરોના ડેપ્યુટી કમિશ્નરે પુષ્ટિ કરી હતી કે મૃતકોની સંખ્યા વધીને 18 થઈ ગઈ છે. મૃતકોમાં આઠ બાળકો અને નવ મહિલાઓનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં પોલીસ અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, "બસના એર કન્ડિશનરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા છે." આગથી બચવા માટે કેટલાક મુસાફરો ચાલુ બસેથી કૂદી પડ્યા હતા.
Tragic news coming from #Pakistan -
At least 17 people including minors burnt alive after a bus carrying Pakistan flood victims from Karachi caught fire at super highway near Nooriabad: officials#PakistanBus#Paktragedypic.twitter.com/08DvDvOjOo
પોલીસને તપાસના આદેશો આપ્યા
સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે જામશોરોના ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષકને બચાવ કામગીરી વધુ સઘન બનાવવાનો નિર્દેશ આપ્યો છે. મુરાદે આ ઘટના અંગે અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે. પાકિસ્તાનમાં બસમાં લાગેલી આગ સામાન્ય બાબત છે. બસોના સલામતીના ધોરણો સાથે ચેડા કરવામાં આવે છે અને ટ્રાફિકના નિયમોનું ઘણીવાર ઉલ્લંઘન કરવામાં આવે છે.
આ વર્ષે પૂરમાં 1700થી વધુના મૃત્યું
દાદુ જિલ્લો સિંધ પ્રાંતનો સૌથી વધુ પૂરગ્રસ્ત જિલ્લો છે. જૂનના મધ્યથી ભારે વરસાદને કારણે પાકિસ્તાનમાં આવેલા ભયંકર પૂરમાં અત્યાર સુધીમાં 1700થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. 3.25 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. દેશનો એક તૃતિયાંશ ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ હવે પૂરના પાણી ઓસરી જતાં હજારો વિસ્થાપિતો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. પોલીસ અધિકારી હાશિમ બ્રોહીએ જણાવ્યું હતું કે બસની એરકન્ડિશનિંગ સિસ્ટમમાં આગ લાગી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જો કે તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે.