ગુજરાત ઉપર મહા વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે ગઈ કાલ મોડી રાતથી જ દરિકિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે તંત્ર દ્વારા સોમનાથ વેરાવળ, પોરબંદર, અમરેલી, જામનગર વગેરે દરિયાકાંઠે NDRFની 15 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જે ઝડપે આ વાવાઝોડુ આગળ વધી રહ્યુ છે તે જોતા તે 4થી નવેમ્બર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે આવી પહોંચશે. આ માટે નેશનલ ડિઝાસ્ટર ટીમ અને સ્ટેટ ડિઝાસ્ટર ટીમ પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. દરેક જિલ્લાને અને તેમાંય ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યુ છે.
વાવાઝોડું હાલ 100 કિ,મી પ્રતિ કલાક ઝડપે વધી રહ્યુ છે
ગુજરાતમાં દરિયા કિનારે જોખમ વધ્યુ
4થી નવેમ્બરે ગુજરાતના દરિયાકિનારાને અથડાશે
આ વાવઝોડું વેરાવળ થી દરિયા માં 500 કિ.મી દુર છે. આ વાવાઝોડું હાલ 100 કિ,મી પ્રતિ કલાક ની ઝડપે ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ આગામી 4 તારીખ થી આ વાવાઝોડું પોતાની દિશા બદલી ગુજરાત તરફ આગળ વધશે તેવી આગાહી હવામાન વિભાગ કરવા માં આવી છે. જેને પગલે દરિયા કિનારાના વિસ્તારો માં ભારે પવન અને ભારે વરસાદ પડે તેવી આગાહી કરવા માં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી ગઈ છે. દરિયાના નજીક વિસ્તારમા લોકોને એલર્ટ કરાયા છે. જોખમી વિસ્તારોમાંથી લોકોનુ સ્થળાંતર કરાશે. NDRF ની ટીમ પણ બોલાવવામાં આવી છે.
જૂનાગઢ
જૂનાગઢમાં આવનાર આગામી 8 તારીખના ગીરનારની પરિક્રમાની શરૂ થશે. જેને પગલે તંત્ર પણ ચિંતિત છે. મહા વાવાઝોડાના જિલ્લા કલેકટર દ્વારા બેઠક કરવામાં આવી હતી અને
પોલીસ ડિપાર્ટમન્ટ અને વનવિભાગ સાથે મિટિંગ કરી મહાને પહોંચી વળવા યોજાનાઓ તૈયારપ કરવામાં આવી હતી.
સુરતના દરિયામાં કરંટ
સુરત મહા વાવાઝોડાને લઇ દરિયાઈ સુરક્ષા વધારાઇ છે. સુરતના સુવાલી દરિયાકિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુવાલી દરિયામાં કરંટ છે જેને પગલે સુરક્ષા અપાઇ છે. કોઈ દુર્ઘટના ન બને માટે પોલીસ સુરક્ષા પણ વધારાઇ છે.
અમરેલીના જાફરાબાદનો દરિયો બન્યો તોફાની
અમરેલી જિલ્લાના જાફરાબાદના દરિયા પંથકના કોસ્ટલ બેલ્ટ પર ગત મોડી રાત્રે વરસાદ વરસાયો હતો બાદ હાલ જાફરાબાદના દરિયાકિનારે હળવો કરંટ જોવા મળતા દરિયો રફ થયો હોય હળવા મોજાઓ જાફરાબાદના દરિયા કિનારા પર જોવા મળી રહ્યા છે જાફરાબાદ બંદરની 700 આસપાસની બોટો માંથી 300 બોટો મહા વાવાઝોડાને કારણે પરત ફરી છે ત્યારે 400 જેટલી બોટો કિનારા પર આવવા માટે નીકળી ગયાનું જાણવા મળી રહ્યું છે
દ્રારકા માથે ફરી સંકટના વાદળ
દ્વારકામાં ઓખા બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યુ છે. વાવાઝોડાની આફત વચ્ચે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટો પરત બોલાવાઇ છે.
દીવ-દમણમાં ધોધમાર વરસાદ
મહાને પગલે સંઘ પ્રદેશ દીવ-દમણને દાદરા નગર હવેલીમાં ગઈકાલ મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને આકશ જે રીતે ગોરંભાયુ છે એ જોતા વરસાદ અટકવાનું નામ નહીં લે.